રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં પુરની પરિસ્થિત સર્જાઈ. પૂરની પરિસ્થિત સર્જાતા તંત્ર દ્વારા અનેક જિલ્લાઓમાં NDRFની ટીમ મોકલવામાં આવી હતી.
ત્યારે હવે અમદાવાદના ધંધુકાના બાજરડા ગામમાં લોકો પરેશાનીમાં છે. ભારે વરસાદ થતાં ગામમાંથી પસાર થતી ચાતુરી નદીમાં ઘોડાપુર આવ્યુ હતું. જેના કારણે બાજરડા ગામ બેટમાં ફેરવાયું અને બાજરડા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.
ઉલ્લેખનીય છે કે સમગ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ધમરોળ્યા બાદ હવે ચોમાસું મધ્યગુજરાતમાં સક્રિય થયું છે. લોકો ઘણા સમયથી વરસાદ આવવાની રાહ જોતા હતા ત્યારે અનરાધાર વરસાદ વરસતા લોકો હેરાન પરેશાન થયા હતા અનેક ગામોમાં પાણી પાણી થઈ ગયા હતા. ત્યારે VTVની ટીમ બાજરડા ગામમાં પહોંચી હતી.
આ ગામમાં 2 દિવસથી ગામમાં પાણી ભરાયા હોવા છતા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ પહોંચાડવામાં આવી નથી. ગામમાં પાણી ભરાવવાના કારણે વાહનવ્યવહાર બંધ થયો હતો અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા પરંતુ તંત્ર તરફથી મદદ ન મળતા લોકો રોષે ભરાયા હતા.
આપને જણાવી દઇએ કે બાજરડામાં ભારે વરસાદ આવતા ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેતરોમાં પાણી ભરાતા પાકને વ્યાપક નુકસાન થયુ હતું. પાકને નુકસાન થતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા કોઈ પ્રકારની મદદ ન કરવામાં આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો અને ખેડૂતો દ્વારા તંત્ર પાસેથી પૂરની સ્થિતિ પર સર્વે કરીને સહાય આપવાની માગ પણ કરાઈ હતી.
એક તરફ વરસી રહેલા કુદરતના કહેર સામે ગ્રામજનો લાચાર બન્યા છે. દર વર્ષે ચોમાસામાં વરસાદ આવે છે. તમામ ખેતરોમાં પાણી ફરી વળે છે. હાલ ગામના અનેક ઘરમાં અને ખેતરોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં 4થી 5 ફુટ પાણી ભરાયા હતા. ત્યારે લોકો તંત્ર તરફથી મદદની રાહ જોઈ રહ્યા છે.