અમદાવાદમાં રિલીફ રોડ અને ઘીકાંટા કોર્ટ વિસ્તારમાં વાનરએ મચાવ્યો આતંક, વહેલી સવારે આવતા વાનરોએ અત્યાર સુધી 18થી વધુ લોકો પર હુમલા કરી ગંભીર ઇજા પહોંચાડી
અમદાવાદના કોટ વિસ્તારમાં કપિરાજનો આતંક
10 દિવસમાં 18 લોકો પર કપિરાજે કર્યો હુમલો
વન વિભાગની ટીમ વાંદરાને ટ્રેક કરવામાં નિષ્ફળ
અમદાવાદના કોટ વિસ્તારમાં વાનરોએ આતંક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના ખાડીયા, માણેકચોક, રિલીફ રોડ અને ઘી કાંટા સહિતના વિસ્તારમાં વાનરોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. છેલ્લા 10 દિવસમાં 18 લોકો પર વાનરોએ હુમલો કર્યો છે. આજે વધુ બે લોકો પર વાનરોએ માણેકચોકમાં હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાનરોના ભયથી લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને પોળ વિસ્તારોમાં સન્નાટો છવાયો છે. વન વિભાગની ટીમ વાનરોને ટ્રેક કરવામાં 7માં દિવસે પણ નિષ્ફળ રહેતા લોકો રોષે ભરાયા છે.
શહેરમાં ગ્રીનરી ઘટતા વાનરો કોટ વિસ્તારમાં પ્રવેશ્યા છે અને વધુ સમય ખોરાક માટે રહેણાક વિસ્તારમાં જ રહે છે. પરંતુ આ વાનરોએ કોટ વિસ્તારના લોકો પર હુમલા કરી આતંક મચાવ્યો છે. સ્થાનિક રહોશોએ વન વિભાગને અનેક વખત જાણ કરી ચુક્યા છે. પરંતુ વન વિભાગ વાનરને પકડવાની જગ્યાએ માત્ર ચેકિંગ કરી કામનો સંતોષ માની રહ્યા છે. સ્થાનિકોની માગ છે કે, વન વિભાગ જલ્દીથી કામગીરી કરી વાનરને પકડે નહીં તો, અહીં રહેનાર લોકોનો જીવ જોખમમાં મૂકાઈ શકે છે. ત્યારે વન વિભાગ આતંક મચાવનાર વાનરને ક્યારે પાંજરે પુરે છે તે જોવાનું રહ્યું.