દેશમાં ધીમે ધીમે હવે મંકીપોક્સના કેસો વધતાં જાય છે. ત્યારે આ બાબતને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ સંસદમાં જાણકારી આપી હતી.
મંકીપોક્સના કેસ વધતાં સ્વાસ્થ્ય મંત્રીએ આપી જાણકારી
મનસુખ માંડવિયાએ જણાવ્યું- આ બિમારીથી ડરવાની જરૂર નથી
બિમારીને રોકવા માટે તમામ દેખરેખ રાખવામાં આવી રહી છે
દેશમાં મંકીપોક્સની બિમારીના વધતા કેસોની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, આ વાયરસથી ગભરાવાની જરૂર નથી, કારણ કે આ કોઈ નવી બિમારી નથી. સંસદમાં બોલતા હેલ્થ મિનિસ્ટરે કહ્યું કે, આ બિમારી ફેલાતી રોકવા માટે શક્ય તમામ દેખરેખ રાખવામા આવી રહી છે. કોરોના મહામારી દરમિયાન મળેલ અનુભવો અપનાવીને કામ કરી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે, મંકીપોક્સ વાયરસ, કોરોનાની માફક ઝડપથી નથી ફેલાતો, કારણ કે નજીકના સંપર્કમાં આવવા પર તેનું સંક્રમણ થાય છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું છે કે, મંકીપોક્સ ભારત અને દુનિયામાં કોઈ નવી બિમારી નથી. 1970 બાદ દુનિયામાં ઘણા બધા કેસો આફ્રિકામાં જોવા મળ્યા છે.
જ્યારે દુનિયામાં મંકીપોક્સના કેસો સામે આવવા લાગ્યા, ત્યારથી ભારતે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. કેરલમાં પ્રથમ કેસ મળતાની સાથે જ તમામ રાજ્યોને દિશા નિર્દેશ આપી દેવામાં આવ્યા હતા. અમે આંતરરાષ્ટ્રીય સ્તર પર તમામ સરકારોને પત્ર લખીને મુસાફરોના સ્ક્રીનિંગ રિપોર્ટ અમને મોકલવામાં આવે.
સંક્રમિત દર્દીઓને બે અઠવાડીયાનુ આઈસોલેશન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં કહ્યું કે, મંકીપોક્સના સંક્રમિત દર્દીને લગભગ બે અઠવાડીયા સુધી આઈસોલેશનમાં રાખવાની ભલામણ કરતા કહ્યું કે, અધ્યયન કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે અને કેરલને તમામ આવશ્યક મદદ આપવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે, કેરલમાં સોમવારે દેશમાં મંકીપોક્સથી પ્રથમ મોતની સૂચના મળી હતી.