અમદાવાદના સરખેજ વિસ્તારમાં વાનરોએ આતંક મચાવ્યો હોવાથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે.
અમદાવાદમાં કપિરાજનો આતંક
8 વ્યક્તિઓ પર કર્યો હુમલો
બાળકોને બચકા ભરતા હોસ્પિટલમાં ખસેડાયા
અમદાવાદના સરખેજ ખાતેના માક્તમપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી વાનરોએ આતંક મચાવ્યો છે. અનેક નિર્દોષ શહેરીજનો વાનરના આતંકનો ભોગ બન્યા હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કપિરાજના આતંકને પગલે લોકો રાત્રિના સમયગાળા દરમિયાન ઘરની બહાર નીકળતા ડર અનુભવી રહ્યા છે. આ ત્રાસમાંથી મુક્તિ અપાવવા સ્થાનિકો માંગ ઉઠાવી રહ્યા છે.
8 વ્યક્તિઓ પર કપિરાજનો હુમલો
સરખેજ વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં કપિરાજે 8 વ્યક્તિઓ પર હુમલો કર્યો છે. બેકાબૂ બનેલ વાનરોએ બાળકોને બચકા ભરતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવાની નોબત આવી હતી. આ મામલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સરખેજની મોટાભાગની સોસાયટીમાં ધાબે સૂતા લોકોને હડકાયા વાનરો દ્વારા બચકા ભરી ગંભીર ઈજાઓ પહોચાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કપિરાજના આતંકથી લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. તંત્ર દ્વારા સ્થાનિકોની પરેશાની પારખી વાનરોને વહેલીતકે પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરાઇ છે.
સુરતમાં પાણીની ઓવરહેડ ટાંકી પર વાનર ફસાયો
આ ઉપરાંત સુરત જિલ્લાના ભીમરાડ ગામે પાણીની ઓવરહેડ ટાંકી પર વાનર ફસાયો હોવાની ઘટના પ્રકાસમાં આવી હતી. ઓવરહેડ ટાંકી પર વાનર ફસાયો હોવાનું જાગૃત નાગરિકના નજરે ચડ્યું હતું. જેથી તેમણે ઘડીનો પણ વિલંબ કર્યા વગર તત્કાલીક ફાયર શાખામાં કોલ કરી જાણ કરી હતી. આથી ફાયર સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં હાઇડ્રોલિક પ્લેટફોર્મની જરૂર જણાઈ હતી. ત્યારબાદ હાઇડ્રોલિક પ્લેટફોર્મ પાણીની ટાંકી સુધી ઊંચું કરવામાં આવ્યું હતું.સાથે સાથે દોરડા નાખી વાંદરાને રેસ્ક્યૂ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા જ્યાં જબરી જહેમત બાદ ફાયર બ્રિગેડને વાનરનુ રેસક્યૂ કરવામાં સફળતા સાંપડી હતી.