મધ્ય પ્રદેશના એક ગામમાં પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે. મધ્ય પ્રદેશમાં એક વાંદરાની અંતિમ વિધીમાં અંદાજે દોઢ હજાર લોકો એકત્રિત થયા છે અને બેન્ડ વાજા સાથે વાંદરાની અંતિમ યાત્રા કાઢી. જો કે અંતિમ વિધિમાં ઉપસ્થિત રહેલા લોકો માટે ખરાબ સમય શરુ થયો છે.
વાંદરાની અંતિમ વિધીમાં અંદાજે દોઢ હજાર લોકો એકત્રિત થયા
બેન્ડ વાજા અને સન્માન સાથે વાંદરાની અંતિમ યાત્રા કાઢવામાં આવી
વાંદરાને રીતિ-રિવાજો સાથે સમાધિ આપવામાં આવી
વાંદરાના મોતથી દુ:ખી થયા લોકો
મીડિયા રિપોર્ટ મુજબ, મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના દલપુરા ગામમાં એક વાંદરો અવાર-નવાર આવતો જતો હતો. જેને પગલે ગ્રામજનોને તેની સાથે આત્મિયતા થઇ હતી. રિપોર્ટ મુજબ, 29 ડિસેમ્બરે વાંદરાનું મોત થયુ. ત્યારબાદ ગ્રામજનો ખૂબ દુ:ખી થયા. બધાએ ભેગા મળીને ભગવાન હનુમાનના પ્રતિક વાંદરાને ધામધૂમપૂર્વક અને સન્માનની સાથે અંતિમ વિદાય આપવાનો નિર્ણય કર્યો.
બેન્ડ વાજા સાથે વાંદરાની અંતિમ યાત્રા કાઢી
ત્યારબાદ ગ્રામજનોએ દાનની રકમ એકત્રિત કર્યા પછી બેન્ડ વાજા સાથે વાંદરાની અંતિમ યાત્રા કાઢી હતી. આ દરમ્યાન ભગવાન હનુમાનના ભજન ગાવવામાં આવ્યાં. સ્મશાન ઘાટમાં લઇ જઇને વાંદરાને રીતિ-રિવાજો સાથે સમાધિ આપવામાં આવી. અંતિમ વિધિ બાદ ગ્રામજનોએ ભોજનનું આયોજન કર્યુ. જેના માટે ગ્રામજનોએ આંગણામાં મોટુ ટેન્ટ લગાવ્યુ હતુ. આ ટેન્ટમાં લગભગ 1500 લોકોએ એકસાથે બેસીને ભોજન કર્યુ. ભોજનમાં હાજર રહેનારા ઘણા લોકોએ વાંદરાના શોકમાં પોતાના માથાના વાળ કઢાવી નાખ્યાં.
જિલ્લા વહીવટી તંત્રએ નોંધ્યો કેસ
જો કે હવે આ ભોજનની જાણકારી સામે આવી તો જિલ્લા વહીવટી તંત્રએ અજાણ્યા ટોળા સામે કોરોના પ્રોટોકોલના ભંગનો ગુનો નોંધી 2 લોકોની ધરપકડ કરી છે. પોલીસની આ કાર્યવાહી બાદ ગ્રામજનોને ડર ઘુસી ગયો છે અને તેઓ પોતાના ઘરને છોડીને બીજી જગ્યાએ છુપાઈ ગયા છે.