સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલની સામે એફઆઈઆર દાખલ કરી દીધી છે.
પ્રફુલ્લ પટેલની સામે આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાનો ગુનો દાખલ
ડેલકરના પુત્ર અભિનવ અને પત્ની કલાબેને પ્રફુલ્લ પટેલની સામે ફરિયાદ નોંધાવી
પોલીસે ફરિયાદ નોંધીને તપાસ આરંભી
મુંબઈ પોલીસે પ્રફુલ્લ પટેલની સામે આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાનો ગુનો દાખલ કર્યો છે. મોહન 15 પાનાની સ્યુસાઈડ નોટમાં ઘણા લોકોના નામનો ઉલ્લેખ કર્યો હતો તેમાં પ્રફુલ્લ પટેલનું નામ પણ સામેલ હતું. પોલીસે દાદરા નગર હવેલીના કલેક્ટરની સામે પણ ફરિયાદ નોંધી છે.
ડેલકરના પુત્ર અભિનવ અને પત્ની કલાબેને મરિન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં જઈને આરોપી પ્રફુલ્લ પટેલની સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે અમે પ્રફુલ્લ પટેલની સામે ફરિયાદ દાખલ કરી છે અને તપાસ આરંભી દીધી છે.
સાંસદ મોહન ડેલકરના મોતના મામલો બુધવારે લોકસભામાં ઉઠ્યો હતો. શિવસેનાના સાંસદોએ દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલને હટાવાની માગ કરી હતી. શિવસેના સાંસદ વિનાયક રાઉતે કહ્યું કે પ્રફુલ્લ પટેલે ડેલકરનું જીવવું હરામ કરી નાખ્યું હતું. રાઉતે કહ્યું કે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ, કલેક્ટર અને એસપીને હટાવાની અમારી માગ છે.
જેડીયુ સાસંદ કૌશલેન્દ્ર કુમારે પણ પ્રફુલ્લ પટેલને હટાવાની માગ કરી. તેમણે કહ્યું કે જો સાંસદ જ સલામત ન હોય તો લોકો કેવી રીતે સલામતીનો અનુભવ કરી શકશે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ અભિનવ ડેલકરે પત્રકારો સાથેની વાતચીતમાં આવો દાવો કર્યો હતો. અભિનવે એવો આક્ષેપ કર્યો કે પ્રશાસક પ્રફુલ્લ પટેલે મારા પિતાને હેરાન કરવામાં પાછીપાની કરી નથી ત્યાં સુધી કે તેમને બ્લેકમેઈલ પણ કરાયા, તેમની પાસેથી ખંડણી પણ માગવામાં આવી.
મોહન ડેલકરની પત્ની કલાબેન ડેલકર પણ ઉદ્ધવ ઠાકરેને મળ્યાં હતા. કલાબેને જણાવ્યું કે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર સરકાર પર અમને પૂરો ભરોસો છે અને ખાતરી છે કે અમને ન્યાય મળશે.
મોહન ડેલકરની આપઘાત નોટમા ચોંકાવનારા ખુલાસા
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના જણાવ્યાનુસાર મોહન ડેલકરે તેમની આપઘાતની નોટમાં લખ્યું હતું કે દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ તેમની પારાવાર હેરાનગતિ કરી રહ્યાં છે અને તેઓ તેમને દબાણ કરી રહ્યાં છે.ડેલકરે કહ્યું હતું કે મને પ્રફુલ્લ પટેલ તરફથી સતત ધમકીઓ મળી રહી હતી. પ્રફુલ્લ પટેલ મને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી રહ્યાં હતા. ડેલકરની પત્ની અને પુત્રે પણ આ ચિંતા વ્યક્ત કરતો પત્ર લખ્યો હતો.
ભાજપના નેતાઓના દબાણને કારણે સાંસદને આપઘાત કરવાની ફરજ પડી-શિવસેના સાંસદ
મોહન ડેલકર આપઘાત કેસની તપાસ સીટ દ્વારા કરાવવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે મહહારાષ્ટ્ર સરકારે સારુ પગલું ભર્યું છે. ભાજપના કેટલાક નેતાઓના દબાણને કારણે સાંસદને આપઘાત કરવાની ફરજ પડી છે. તેમણે કહ્યું કે ખેદજનક છે કે કેન્દ્ર સરકારે બીજા આપઘાત કેસમાં સીબીઆઈ અને બીજી એજન્સીઓની તપાસમાં જે રીતે ઉતાવળ કરી તેવી ઉતાવળ મોહન ડેલકર કેસમાં કરાઈ નથી.