મોહમ્મદ રફી એક સદાબહાર વ્યક્તિત્વ. ભારતીય ફિલ્મી સંગીતનું એક જાજરમાન વ્યક્તિત્વ. અમૃતસર નજીક આવેલા કોટલા સુલતાન સિંઘ ગામમાં રહેતા હાજ્જી અલી મોહમ્મદના છ પુત્રો હતા અને 24 ડિસેમ્બર 1924ના રોજ વધુ એક પુત્રનો જન્મ થયો નામકરણ કરાયું સુલતાન સિંઘ. જે આગળ જતાં મહોમ્મદ રફી તરીકે ઓળખાયા.
જ્યારે ફાંસીના માંચડે ચડતા ગુનેગારે કહ્યું, રફી સાહેબનું ગીત સંભળાવો
એક વખત એક ગુનેગારને ફાંસી આપવામાં આવી રહી હતી. તેમને અંતિમ ઇચ્છા અંગે પૂછવામાં આવ્યું. આ ગુનેગારે મરતા પહેલા ફરમાઇશ કરી કે રફીના કંઠે ગવાયેલું બૈજુ બાવરા ફિલ્મનું ગીત 'એ દુનિયા કે રખવાલે' સાંભળવા માગે છે. તેની આ વાત સાંભળી સૌ કોઇ ચકિત થઇ ગયા. તેની ફરમાઇશને પગલે ટેપ રેકોર્ડર લાવવામાં આવ્યું અને તેની આ ઇચ્છાને પૂર્ણ કરવામાં આવી.
'રફી ફિકો' ના હુલામણા નામથી ઓળખાતા
બાળપણથી જ ગાવાના શોખને લીધે તેઓ આગળ જતા ખુબ જાણીતા ગાયક બન્યા. ગામના એક ફકીરની નકલ કરતા કરતા તેમણે ગાવાનું શરૂ કર્યું હતું આથી 'રફી ફિકો' ના હુલામણા નામથી ઓળખાતા. રફીએ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન ઉસ્તાદ અબ્દુલ વાહિદ ખાન પંડિત જીવનલાલ મટ્ટો અને ફિરોઝ નિઝામી પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યા અને 13 વર્ષની વયે પ્રથમ વખત જાહેરમાં રજૂઆત કરી હતી. તેમની ગાયકીને ઉપસ્થિત લોકોએ ખુબ દાદ આપી અને જુસ્સો વધાર્યો.
રફીનો સંગીત શોખ મુંબઇ લઇ આવ્યો
મોહમ્મદ રફીનો સંગીત શોખ તેમને મુંબઈ લઇ આવ્યો અને ભીંડીબજારની એક ગલીમાં 10*10ની એક નાની રૂમ રાખી. તે સમયના જાણીતા કવિ તનવિર નકવીએ તેમને કેટલાક ફિલ્મ નિર્માતાઓ સાથે ઓળખણ કરાવી આપી અને શરુ થઇ રફીની સંગીત યાત્રા.
શ્યામ સુંદરે તેમને પ્રથમ વખત ફિલ્મમાં ગાવાની તક આપી અને - જીએમ દુર્રાની સાથે ગાંવ કી ગોરીમાં યુગલ ગીત 'અજી દિલ હો કાબુમેં તો દિલદાર કી ઐસી તૈસી...' ગાયું. નોંધનીય છે કે, રફીએ જયારે કારકિર્દીની શરૂઆત કરી ત્યારે લતા મંગેશકરનો સિતારો ચમકી રહ્યો હતો.
પતંગ ચગાવવાનો શોખ હતો
પબ્લિસિટીમાં ક્યારેય રફી માનતા નહોતા. કોઈ ગીતના રેકોર્ડીંગ માટે જતા હોય ત્યારે રસ્તામાં કોઈના ઘરે પ્રસંગ જુએ તો તરત ત્યાં પહોંચી તે પરિવારને અભિનંદન આપતા. તેમને પતંગ ઉડાવવાનો અને બેડમિન્ટન રમવાનો ખુબ શોખ હતો. જિંદગીના 4 દાયકા જેટલું ખુબ ઓછું આયુષ્ય ભોગવનાર ભારતીય ફિલ્મ જગતના બહુ જાણીતા ગાયક રફીએ 5 રાષ્ટ્રીય પુરસ્કાર અને 6 ફિલ્મફેર પુરસ્કાર જીત્યા હતા.
પદ્મશ્રીનું મળ્યું બહુમાન
ઉલ્લેખનીય છે કે, 1967માં ભારત સરકારે તેમને પદ્મશ્રીના બહુમાનથી નવાજ્યા. 26000થી વધુ ગીતો તેમણે ગયા છે તેમાં શાસ્ત્રીયગીતોથી માંડીને ભક્તિગીતો ઉદાસ આક્રંદથી માંડીને અત્યંત વીરશ્રૃંગારરસ કવ્વાલીઓથી માંડીને ગઝલો અને ભજનો તેમજ ધીમી ઉદાસ ધૂનો તેમજ ઝડપી મસ્તીભર્યા ગીતો સામેલ છે. તેમણે કેટલાક ગુજરાતી ગીતો પણ ગાયા છે.
હૃદયરોગના હુમલાથી થયું દેહાવસાન
જાણીતા સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે 'શામ ફિર ક્યુ ઉદાસ હે' નું રેકોર્ડિંગ કર્યાના થોડા કલાકમાં હૃદયરોગના હુમલાને કારણે મોહમ્મદ રફીનું 31 જુલાઈ 1980ના રોજ નિધન થયું અને ભારતીય સંગીત જગતે એક ઉમદા પાશ્વગાયક ગુમાવ્યા.
તેમને અંતિમ વિદાય આપવા 10000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. જુહુ ખાતે રહેલ કબર નજીક રહેલ નારીયેરી પાસે રફીના જન્મદિવસે અને 31 જુલાઈએ અચૂક ચાહકો આવી તેમને યાદ કરે છે.