મોહમ્મદ શમી ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે. હાલમાં જ તેના સોશિયલ મીડિયા દ્વારા તમામ દેશવાસીઓને દશેરાની શુભકામનાઓ પાઠવી હતી, જે બાદ તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો
મોહમ્મદ શમી ફરી એકવાર વિવાદોમાં ફસાયો
દશેરાની શુભકામનાઓ પાઠવતી પોસ્ટથી ટ્રોલ થયો
રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર તેમના બચાવમાં આવ્યા
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે. મોહમ્મદ શમીએ હાલમાં જ તેના સોશિયલ મીડિયા દ્વારા તમામ દેશવાસીઓને દશેરાની શુભકામનાઓ પાઠવી હતી, જે બાદ તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર તેમના બચાવમાં આવ્યા છે અને ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.
અનુરાગ ઠાકુરે ટ્રોલર્સને આપ્યો વળતો જવાબ
અનુરાગ ઠાકુરે આ બાબતે કહ્યું કે દશેરા એક એવો તહેવાર છે, જે દરેક ભારતીય ઉજવે છે. આ ઉજવણીમાં ભારતીય ક્રિકેટરો પણ જોડાયા છે, તો મોહમ્મદ શમી તહેવાર ઉજવે તો શું વાંધો છે. જે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે, તેઓ દેશના ભાગલા પાડવા માંગે છે. આપણે બધાએ એક રાષ્ટ્ર તરીકે એક થવું જોઈએ અને સાથે મળીને બધા તહેવારો ઉજવવા જોઈએ.
દશેરાની શુભકામના આપી હતી
તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીએ 5 ઓક્ટોબરે દશેરાના અવસર પર સોશિયલ મીડિયા પર ફેન્સને શુભેચ્છા પાઠવી હતી. મોહમ્મદ શમીએ લખ્યું કે દશેરાના અવસર પર હું ભગવાન રામને પ્રાર્થના કરું છું કે તમારું જીવન ખુશીઓ અને સફળતાથી ભરે. તમને અને તમારા પરિવારને દશેરાની શુભકામનાઓ.
On the happy occasion of Dussehra, I pray that Lord Ram fills your life with lots of happiness, prosperity, and success. Happy Dussehra to you and your family. #mdshami11#Dussehrapic.twitter.com/wsFk7M1Gj5
પહેલા પણ ટ્રોલ થઇ ચુક્યો છે શમી
નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે મોહમ્મદ શમી આ રીતે ટ્રોલર્સના નિશાના પર આવ્યો હોય, આ પહેલા તેને ટી20 વર્લ્ડ કપ 2021માં પણ ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને તે મેચમાં મોહમ્મદ શમીનું પ્રદર્શન વધુ સારું નહોતું. આવી સ્થિતિમાં ટ્રોલર્સે શમી પર નિશાન સાધ્યું હતું.
મોહમ્મદ શમી ટી20 વર્લ્ડ કપમાં સામેલ
જો કે ત્યારબાદ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ખુલ્લેઆમ તેનું સમર્થન કર્યું હતું અને આ રીતે તેને ટ્રોલ કરનારા લોકો પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા હતા. જો મોહમ્મદ શમીની વાત કરીએ તો તે હવે ટીમ ઈન્ડિયા માટે ફરી T20 વર્લ્ડ કપ રમી શકે છે. જસપ્રીત બુમરાહ ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. મોહમ્મદ શમીને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે, હવે તે જસપ્રિત બુમરાહના સ્થાને મુખ્ય ટીમમાં સામેલ થઈ શકે છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા સામેની તાજેતરની ટી20 સિરીઝમાં મોહમ્મદ શમીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને કોરોના થયો હતો, તેથી તે સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો.