કોંગ્રેસની ટિકીટ પર બિહારની પટના સાહિબ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા શત્રુધ્ન સિંહાએ મોહમ્મદ અલી જિણાની પ્રશંસા કરી છે. શત્રુધ્ન સિંહાએ મધ્ય પ્રદેશના છિંદવાડાના સૌસરમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતાં કહ્યું કે ભારતની આઝાદી અને વિકાસમાં મહોમ્મદ જિણાનું પણ યોગદાન છે.
આ દરમિયાન મંચ પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ પણ ઉપસ્થિત હતા. છિંદવાડા બેઠક પરથી આ વખતે કમલનાથના પુત્ર નકુલનાથને કોંગ્રેસે ટિકીટ આપી છે. કોંગ્રેસના નેતા શત્રુધ્ન સિંહાએ કહ્યું કે કોંગ્રેસ પરિવાર મહાત્મા ગાંધીથી લઇને સરદાર વલ્લભભાઇ પટેલ સુધી, મોહમ્મદ અલી જિણાથી લઇને જવાહરલાલ નહેરૂ સુધી, ઇન્દિરા ગાંધીથી લઇને રાજીવ ગાંધી અને રાહુલ સુધીની પાર્ટી છે.
ભારતની આઝાદી તેમજ વિકાસમાં આ બધાનું યોગદાન છે. જેના કારણે હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું, અને જો એક વખત આવી ગયો છું તો પહેલી અને કદાચ અંતિમ વખત કોંગ્રેસ પાર્ટીમાંથી પરત કહીં નહીં જાઉં. કોંગ્રેસ નેતા શત્રુધ્ન સિંહાએ ભાજપ છોડવાને લઇને એક વાર ફરી નિશાન સાધ્યું હતું. શત્રુધ્ન સિંહાએ પોતાના આગવા અંદાજમાં કહ્યું કે 'કંઇક તો મજબૂરી રહી હશે, નહીં તો કોઇ આમ જ બેવફા નથી હોતું'.
શત્રુધ્ન સિંહાએ જણાવ્યું કે વ્યક્તિથી મોટી પાર્ટી હોય છે, પાર્ટીથી મોટો દેશ હોય છે, દેશથી મોટું કાંઇ હોતું નથી. પીએમએ જ્યારે નોટબંધી બાદ જીએસટી લાગુ કર્યો તો બિલકુલ લિમડા પર કરેલું હતું. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા શત્રુધ્ન સિંહા પટના સાહિબ પરથી ચૂંટણી લડી રહ્યાં છે. જેમની સામે ભાજપના કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ ઉમેદવાર છે.