કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ બુધવારે એક જનસભા સંબોધતા જણાવ્યું હતું કે, ''નરેન્દ્ર મોદીને લાગે છે કે માત્ર એક જ વ્યક્તિ દેશ ચલાવી શકે છે, પરંતુ દેશ કોઈ એક વ્યક્તિથી નહીં, દેશના લોકોથી ચાલે છે.''
રાહુલ ગાંધીએ પંજાબના બરગારીમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યુ કે, ''એક સમયે મોદી મનમોહન સિંહની મજાક ઉડાવતા હતા, પરંતુ પાંચ વર્ષ બાદ હવે મોદીજી મનમોહન સિંહની મજાક નથી કરતા. હવે તો દેશ મોદીની મજાક કરે છે.''
રાહુલ ગાંધી પંજાબની ફરીદકોટ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરવા આવ્યા હતા. રાહુલ ગાંધીએ આ દરમિયાન 2015ની ઘટનાનો ઉલ્લેખ કરતા ધાર્મિકં ગ્રંથનું અપમાન કરનારાને સજા અપાવવાની પણ વાત કરી.
રાહુલ ગાંધીએ કહ્યુ કે, ''હું તે ઘટનાને યાદ કરી રહ્યો છું, જ્યારે ધર્મ ગ્રંથના અપમાનનો મામલો સામે આવ્યો હતો, તે સમયે હું ત્યાં આવ્યો હતો. હું વચન આપુ છું કે જ્યાં જેણે આ ખોટું કામ કર્યુ છે, તેમને ચોક્કસથી સજા આપવામાં આવે.'' આ પહેલા મંગળવારે પ્રિયંકા ગાંધીએ પંજાબમાં ચૂંટણી પ્રચાર કરતા ભાજપ અને શિરોમણી અકાલી દળના ગઠબંધન પર પ્રહારો કર્યા હતા.
પીએમ મોદી પર કટાક્ષ કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે, ''પીએમ મોદીને લાગે છે જે વ્યકિત દેશ ચલાવી શકે છે, પરંતુ વાસ્તવમાં અહીંયા લોકો દેશ ચલાવે છે.''
રાહુલે પોતાની ચૂંટણી સભાાં રફાલનો મુદ્દો ઉઠાવી પીએમ મોદીને ભ્રષ્ટાચાર પર જાહેરમાં ચર્ચા કરવાનો ખૂલ્લો પડકાર ફેંક્યો હતો. નોટબંધી અને GST મામલે સરકારને ઘેરતા રાહુલે કહ્યું હતું કે, ''મોદી સરકારના આ બે નિર્ણયોએ અર્થતંત્રને તહેસનહેસ કરી નાખ્યું, અને લાખો લોકોને નોકરી-ધંધા વગરના કરી નાખ્યાં.''
2014માં ભાજપે પોતાના ચૂંટણી પ્રચારમાં દરેકના ખાતામાં 15 લાખ રુપિયા નાખવાના વાયદાને યાદ અપાવતા રાહુલે કહ્યું હતું કે, ''હજુ સુધી આ પૈસા આવ્યા કેમ નથી? તેમણે બે કરોડ નોકરીઓ સર્જવાનો વાયદો પૂરો ન કરવા બદલ પણ પીએમની ટીકા કરી હતી.''