રાજનીતિમાં નબળા નેતા હંમેશાં દુશ્મનની નબળાઈઓ પર નજર રાખીને ત્યાં વાર કરે છે પણ મજબૂત અને મહાનાયક હોય તે દુશ્મનની સૌથી મોટી તાકાતને જ પડકારે છે. વિરોધીઓના વંટોળ વચ્ચે પણ અકલ્પનીય સ્થિરતા જાળવી રાખીને પોતે નક્કી કરેલા એજન્ડા ઉપર લડવું અને તેમાં જીતવું એ સરળ હોતું નથી પણ આ કાબેલિયત નરેન્દ્ર મોદીમાં બહુ સ્વાભાવિક છે.
ભારતીય લોકતંત્રમાં ઘણા લાંબા સમય બાદ કોઈ મજબૂત સરકારનું અભૂતપૂર્વ પુનરાગમન થયું છે. ભાજપની આ ભવ્યાતિભવ્ય જીતના શિલ્પી ખુદ નરેન્દ્ર મોદી જ છે. લોકસભા ચૂંટણી જાહેર થઈ તે સાથે જ નરેન્દ્ર મોદી વિરોધી અભિયાન એટલી તીવ્રતા અને તાકાત સાથે લોન્ચ કરવામાં આવ્યું કે મોટા ભાગના લોકો માનવા લાગ્યા હતા કે આ વખતે મોદીને મુશ્કેલી પડશે જ.
ભાજપના કમિટેડ વોટર્સ પણ મનમાં આશંકા ધરાવતા થયા હતા કે વિપક્ષોની તાકાત વધી રહી છે અને મોદી લહેરમાં ઘટાડો થયો છે. ચૂંટણીનાં પરિણામમાં મોદી લહેર આંધી અને સુનામી બની ગઈ, જેમાં તમામ વિરોધીઓ ક્યાં વહી ગયા તેની ખબર પણ ન પડી.
ફક્ત ભાજપ જ નહીં પણ ભાજપના સાથી પક્ષો પણ ‘મોદીવાદ’ના સહારે જ જીત્યા છે એ હકીકત હવે બધાં સ્વીકારતાં થયાં છે. વિરોધીઓ જાતિવાદના રાજકારણ પર ભાર મૂકતા રહ્યા અને મોદી રાષ્ટ્રવાદની લહેરમાં મત ખેંચી ગયા. દેશની જનતાએ પુરવાર કરી દીધું કે તેમને વિકાસ, સ્વચ્છતા, જનહિત, રાષ્ટ્રવાદ, દેશભક્તિ, સૈનિકોનું સન્માન, દુશ્મન દેશોને જડબાતોડ જવાબ જેવા મુદ્દાઓમાં જ રસ છે.
વિપક્ષ ઉપરાંત તથાકથિત સેક્યુલર અને બુદ્ધિજીવીઓની એક આખી ફોજ મોદીને દરેક મોરચે નિષ્ફળ સાબિત કરવામાં લાગેલી હતી ત્યારે મોદી અને તેમના ‘ચાણક્ય’ અમિત શાહ બૂથ મેનેજમેન્ટની વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત હતા. મોદીની ભરપૂર ટીકાઓ કરવામાં આવી. એક તબક્કે આ ટીકાઓ અશ્લીલ અને અપમાનજનક પણ બની છતાં મોદી ડગ્યા નહીં. પાંચ વર્ષ સુધી સતત મોદીનું સમર્થન કરનારી જનતાને સાંપ્રદાયિક, દેશ તોડનારી અને વિધ્વંસક ગણાવવામાં આવી. સમર્થકોને ‘અંધભક્તો’નું બિરૂદ પણ આપવામાં આવ્યું. આવું કરનારા તમામ પક્ષને ચૂંટણીમાં જવાબ મળી ગયો અને તે હંમેશાં યાદ રહેશે.
મોદીએ દેશની રાજનીતિમાં વર્ષોથી ઘર કરી ગયેલા જાતિવાદને જાકારો આપીને વિકાસ અને રાષ્ટ્રવાદને મુખ્ય મુદ્દા બનાવ્યા અને આ અમોઘ શસ્ત્ર સામે હરીફો નિ:સહાય બની ગયા. આજે સમાજના તમામ વર્ગના લોકો મોદીમાં વિશ્વાસ ધરાવે છે તો તેનું કારણ મોદીની સ્પષ્ટ નીતિ છે. ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ માત્ર એક નારો નહીં પણ હકીકત બની.
મોદીએ શાસનમાં આવીને જે વિવિધ યોજનાઓનો અમલ કરાવ્યો અને તેનો લાભ દેશની છેવાડાની વ્યક્તિ સુધી પહોંચાડ્યો તેનો સીધો ફાયદો ભાજપને ચૂંટણીમાં થયો. ઉજ્જવલા યોજનાથી ગામેગામ ગેસની સગવડ પહોંચી. પ્રધાનમંત્રી આવાસ યોજના પણ આવું જ સફળ હથિયાર સાબિત થઈ. દરેક વ્યક્તિને વિશ્વાસ બેઠો કે હવે તેનું ‘ઘરના ઘર’નું સપનું સાકાર થઈ શકે છે.
આ ચૂંટણીમાં સૌથી મોટી હાર નકારાત્મક રાજનીતિની થઈ છે અને દેશના હિતમાં આ સૌથી સારી વાત છે. પ્રજાએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે રાજકીય પક્ષો હવે નકારાત્મક રાજનીતિના જોરે સત્તા હાંસલ કરી શકશે નહીં. મજબૂત વિપક્ષ સ્વસ્થ લોકશાહીની નિશાની હોય છે પણ કોંગ્રેસ આ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ ગઈ અને તેનો સીધો ફાયદો મોદીએ ઉઠાવ્યો. વિરોધીઓ ગાળો આપતા રહ્યા, આક્ષેપોનો મારો ચલાવતા રહ્યા અને મોદીએ તેમના પર ચાલતા આ તમામ મારાને મતમાં પરિવર્તિત કરી દીધા.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉઠાવેલા રાફેલ કૌભાંડ કે ‘ચોકીદાર ચોર હૈ’ના નારા બૂમરેંગ સાબિત થયા. સતત થઈ રહેલા હીનકક્ષાના નકારાત્મક પ્રચારે જનતાના દિલમાં મોદી માટે એવી સહાનુભૂતિ જન્માવી કે ભાજપ પર મતનો વરસાદ થઈ ગયો. મોદી લહેરને સતત નકારતા લોકો પણ હવે તેમની રણનીતિ અને રાજનીતિનાં આડકતરા વખાણ કરતા થયા છે. આ પણ મહાનાયક મોદીની મોટી જીત જ છે. આ ચૂંટણી કોંગ્રેસ સહિતના વિપક્ષોને કાયમ યાદ રહે તેવો બોધપાઠ પણ શીખવી ગઈ છે.•