ચીનના રાષ્ટ્ર પ્રમુખ ભારતની મુલાકાતે છે. બંને દેશના નેતાઓ તેમના વ્યાપાર સંબંધો વિષે ચર્ચા કરી રહ્યા છે. અહી નોંધનીય છે કે ભારત અને ચીનના વ્યાપારમાં ભારત ચીન પાસેથી વધુ ખરીદી કરે છે અને વેચાણ ઓછું કરે છે. તો આંકડાઓ અને આલેખ સાથે સમજો કે આ ખરીદ વેચાણથી ભારતને શું નુકશાન થાય છે અને ભારત આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે લાવી શકે?
ચીન વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદનોની નિકાસ કરતો દેશ છે. ભારત પણ ચીન પાસેથી ઘણા પ્રોડક્ટ્સની આયાત કરે છે. જો કે આયાત નિકાસનું સંતુલન ખોરવાયેલું છે. અર્થાત ભારતની ચીન સાથેની આયાતની પ્રમાણ ભારતની ચીન સાથેની નિકાસ કરતા ઘણું વધારે છે.
ઉપરના આંકડાઓ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે ભારતની આયાત ખુબ વધુ અને નિકાસ ખુબ ઓછી છે. આમ ભારતની વ્યાપારી ખાધ વધુ રહે છે.
શું છે વ્યાપારી ખાધ?
ભારતે વધુ ઉત્પાદનો ચીન પાસેથી ખરીદવા પડે છે અને ભારતના ઓછા ઉત્પાદનો ચીનમાં વેચાય છે. આ કિસ્સામાં ભારતે વધારે ખર્ચ કરવો પડે છે અને ભારતની આવક ઓછી થાય છે. આ બાબતને વ્યાપારી ખાધ અથવા ટ્રેડ ડેફિસિટ કહે છે.
વ્યાપારી ખાધ ઘટાડવા જિનપીંગ સાથે ચર્ચા
નરેન્દ્ર મોદી હાલમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ જિનપીંગ સાથે અનૌપચારિક મુલાકાત કરી રહ્યા છે. આ મુલાકાતમાં આ અસંતુલિત વ્યાપારનો મુદ્દો ઉછળ્યો છે. આ ચર્ચા બાદ જે નિર્ણય લેવાશે તે ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ચીનના વાઇસ પ્રીમિયર હુ ચુનહા વડે ચકાસીને અમલીકરણમાં મુકવામાં આવશે. નિષ્ણાતોના મતે આ નિર્ણયથી ભારતીય બિઝનેસમેનને ચીનના વિઝા લેવાની સરળતા પણ વધી જશે.
શું છે ભારતની સમસ્યા?
ભારત ચીન સાથે ફાર્માસ્યુટિકલ્સ, સોફ્ટવેર વગેરે મુદ્દે નિકાસ કરે છે જેમાં ભારતના બિઝનેસમેનને ચીનમાં વ્યાપાર કરવામાં અલગ અલગ અડચણો ઉભી થયા કરે છે. પરિણામે ભારતનો નિકાસ રૂંધાય છે. ભારતે આ મુદ્દે પહેલા પણ બેઇજિંગમાં ફરિયાદ કરી હતી પણ તેનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નહોતું.
ભારતની શું અપેક્ષા છે?
ભારત ચીન પાસેથી ઇન્વેસ્ટમેન્ટની અપેક્ષા રાખે છે. જો ચીન ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રકચર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરે તો ભારત પોતાની આયાતનું પ્રમાણ ઘટાડી શકે અને સાથે સાથે સ્થાનિક ઉત્પાદકો અને રોજગારને વેગ આપી શકે.
શું છે RCEP મુદ્દો?
Regional Comprehensive Economic Partnershipએ 16 દેશો(ઓસ્ટ્રેલિયા, બ્રુનેઇ, કંબોડીયા, ચીન, ભારત, ઇન્ડોનેશિયા, જાપાન, લાઓસ, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઈલેન્ડ, વિયેતનામ અને સાઉથ કોરિયા) વચ્ચે થયેલું પ્રસ્તાવમાં મૂકાયેલું ટ્રેડ એગ્રીમેન્ટ છે. આ એગ્રીમેન્ટ ઉપર જો તમામ દેશો હસ્તાક્ષર તો એ વિશ્વનું સૌથી મોટું ટ્રેડ એગ્રીમેન્ટ હશે. આ ટ્રેડ સમગ્ર દુનિયાના અડધા અર્થતંત્ર જેટલો હશે.
જો કે આ ટ્રેડમાં ચીન પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કરશે અને ભારતને તેનાથી નુકશાન જાય તેમ છે. આમ આ મુલાકાતમાં મોદી અને જિનપીંગ આ એગ્રીમેન્ટથી બંને દેશોને કેવી રીતે ફાયદો થાય તેને લગતી નીતિ ઉપર પણ ચર્ચા કરશે.