શિવસેના નેતા સંજય રાઉતે શિવસેનાના મુખપત્ર સામનામાં આવનાર વર્ષે 2021ને લઈને એક લેખ લખ્યો છે જે બાદ તે ચર્ચાનો વિષય બની ગયો. આ લેખમાં સંજય રાઉતે વર્ષ 2020ને લઈને મહામારીથી લઈને ખેડૂત આંદોલન સુધીના મુદ્દાઓ પર ચર્ચા કરી છે.
લોકો પોતાના પરિવારને બચાવે, દેશ બચાવવા મોદી અને બે ચાર લોકો છે : સંજય રાઉત
લોકતંત્રની આત્મા સંસદને નષ્ટ કરી દેવામાં આવી : રાઉત
બે ચાર ઉધ્યોગપતિ અને રાજનેતાઓએ દેશને બંધક બનાવ્યો : રાઉત
'દેશ બચાવવા મોદી અને બે ચાર લોકો છે'
સંજય રાઉતે પોતાના લેખમાં લખ્યું કે 2020 ખતમ થવા જઈ રહ્યો છે અને આ વર્ષ કશું સારું કરીને નથી જઈ રહ્યો એટલે નવા વર્ષમાં શું સારું મળશે તેનો કોઈ ભરોસો નથી. લોકો એક કામ કરે પોતાના પરિવારને કી રીતે બચાવવો છે તે જુએ, બાકી દેશ સંભાળવા માટે તો મોદી અને તેમાં બે ચાર લોકો છે જ. આ વર્ષ હવે ચાર દિવસમાં સમાપ્ત થઈ જશે પણ આ પહેલા જ કેટલાય લોકો આ વર્ષના કેલેન્ડરને ફાડીને ફેંકી દીધો છે. વર્ષ 2020 ખતમ થવો એ એક ઉપચાર છે કારણ કે આ વર્ષ શરૂ થતાંની સાથે જ અંધારામાં વિત્યો. દેશ અને દુનિયાને નુકસાન પહોંચાડનાર આ વર્ષ લોકોને લાંબા સમય સુધી યાદ રહેશે.
સરકારને લીધી આડે હાથ
આ લેખમાં ખેડૂત આંદોલનને લઈને સરકાર પર નિશાન પણ સાધવામાં આવ્યું છે જેમાં સંજય રાઉતે કહ્યું કે આ વર્ષે દેશે સૌથી મોટો આઘાત સહન કર્યો તે હતો કોરોના વાયરસ. લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. પણ તેનાથી પણ ભયંકર હતું કે સંસદ જે લોકતંત્રની આત્મા છે તે નષ્ટ થઈ ગઈ. ત્રણ કૃષિ કાયદાઑ બહુમતના બળે પાસ કરાવી દેવાયા. આજે ખેડૂતો તેના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. અયોધ્યા રામમંદિર જેવા ભાવનાત્મક મુદ્દો ઉઠાવવામાં આવે છે પણ સરકાર ખેડૂતોની ભાવનાનો વિચાર પણ નથી કરતી.
સંજય રાઉતે કહ્યું કે અમે માનીએ છે કે આ દેશ લોકતાંત્રિક દેશ છે પણ ચાર પાંચ ઉધ્યોગપતિ, બે ચાર નેતા પોતાના મહત્વકાંક્ષા માંતે દેશને કઈ રીતે બંધક બનાવે છે તે અમે આ વર્ષમાં જોયું છે. પાર્ટી હિત અને વ્યક્તિ પૂજાનો અર્થ દેશહિત છે તેવું માનવામાં આવી રહ્યું છે.