આવનારા સમયમાં દેશના કેટલાંક રાજ્યોમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવા અંગે મોદી સરકાર પુનર્વિચાર કરશે.
કેટલાંક રાજ્યોમાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવામાં આવે તેવી શક્યતા
મોદી સરકારે મંત્રણા શરૂ કરવાની યોજના બનાવી દીધી
હાલમાં માત્ર છ સમુદાયો જ લઘુમતી તરીકે સૂચિત છે
કેટલાંક રાજ્યોમાં હિન્દુઓને હવે લઘુમતીનો દરજ્જો આપવામાં આવી શકે છે. આ સંદર્ભે મોદી સરકારે મંત્રણા શરૂ કરવાની યોજના બનાવી દીધી છે. કેન્દ્ર સરકાર રાજ્યો અને અન્ય હિતધારકો સાથે "વ્યાપક પરામર્શ" શરૂ કરશે જેથી એક અરજીની તપાસ કરી શકાય કે કે શું હિન્દુઓને એવાં રાજ્યોમાં લઘુમતીનો દરજ્જો આપી શકાય કે જ્યાં તેમની સંખ્યા અન્ય સમુદાયો કરતા ઓછી હોય.
લઘુમતીઓને સૂચિત કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે: કેન્દ્રએ સુપ્રીમને કરી હતી જાણ
કેન્દ્રએ સોમવારના રોજ સુપ્રીમ કોર્ટને જાણ કરી હતી કે, લઘુમતીઓને સૂચિત કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે અને આ સંબંધે કોઈ પણ નિર્ણય રાજ્યો અને અન્ય હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ જ લેવામાં આવશે.
એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી અરજીના જવાબમાં દાખલ કરાયેલા સોગંદનામામાં લઘુમતી બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે લઘુમતી સમુદાયો માટે રાષ્ટ્રીય આયોગ અધિનિયમ, 1992ની કલમ 2C હેઠળ છ સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે સૂચિત કર્યા છે.
"ભવિષ્યમાં દેશ માટે અનિચ્છનીય ગૂંચવણો" ને દૂર કરવા માટે, સરકારે જણાવ્યું હતું કે, તે 27 માર્ચે દાખલ કરાયેલ પોતાના અગાઉના સોંગદનામાની જગ્યાએ એક નવું સોગંદનામું પ્રસ્તુત કરી રહી છે. ત્યાર બાદ કેન્દ્રએ રિટ પિટિશનના સમૂહને બરતરફ કરવાની માંગ કરી હતી અને 1992ના નેશનલ કમિશન ફોર માઈનોરિટીઝ (એનસીએમ) એક્ટ અને 2004ના નેશનલ કમિશન ફોર માઈનોરિટી એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યુશન્સ (એનસીએમઈઆઈ) એક્ટનો બચાવ કર્યો હતો.
કેન્દ્ર સરકારે માત્ર છ સમુદાયોને લઘુમતી તરીકે સૂચિત કર્યા છે
NCM એક્ટ હેઠળ, કેન્દ્ર સરકારે માત્ર છ સમુદાયો ખ્રિસ્તી, શીખ, મુસ્લિમ, બૌદ્ધ, પારસી અને જૈનોને રાષ્ટ્રીય સ્તરે લઘુમતી તરીકે સૂચિત કર્યા છે. NCMEI અધિનિયમ હેઠળ સૂચિત કરાયેલા છ સમુદાયોને પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલિત કરવાનો અધિકાર આપે છે.
તે સમયે કેન્દ્રએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UT) પર આ નિર્ણય કરવાની જવાબદારી નાખી કે જ્યાં તેઓની સંખ્યા ઓછી છે ત્યાં હિન્દુઓને લઘુમતીનો દરજ્જો આપવો કે કેમ. આ સાથે એમ પણ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્યો બંને પાસે લઘુમતીઓની સુરક્ષા પર કાયદો બનાવવાની કાયદાકીય ક્ષમતા છે.
સોંગદનામામાં કહેવામાં આવ્યું કે, "રિટ પિટિશનમાં સમાવિષ્ટ પ્રશ્ન સમગ્ર દેશ માટે દૂરગામી અસરો ધરાવે છે અને તેથી હિતધારકો સાથે વિગતવાર પરામર્શ કર્યા વિના લેવામાં આવેલ કોઈ પણ પગલું દેશ માટે અણધારી ગૂંચવણ ઊભી કરી શકે છે."
વ્યાપક પરામર્શ કર્યા બાદ જ આને અંતિમ રૂપ આપવામાં આવશે
સોંગદનામા અનુસાર, "લઘુમતીઓને સૂચિત કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે, પરંતુ અરજીઓમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અંગે કેન્દ્ર સરકાર દ્વારા અપનાવવામાં આવનાર સ્ટેન્ડને રાજ્ય સરકારો અને અન્ય હિતધારકો સાથે વ્યાપક પરામર્શ કર્યા બાદ જ અંતિમ રૂપ આપવામાં આવશે."
મંત્રાલયે કહ્યું કે, તે સુનિશ્ચિત કરશે કે કેન્દ્ર સરકાર આવાં મહત્વપૂર્ણ મુદ્દાના સંદર્ભમાં ભવિષ્યમાં કોઈ પણ અણધાર્યા ગૂંચવણોને ટાળવા માટે અનેક સામાજિક, તાર્કિક અને અન્ય પાસાઓને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટ સમક્ષ એક સુવિચારિત દ્રષ્ટિકોણ રાખવામાં સક્ષમ થાય. સુપ્રીમ કોર્ટ આ મામલાની સુનાવણી 10 મેના રોજ કરશે અને કેન્દ્ર સરકારને એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનું વલણ રેકોર્ડ પર રાખવાનું કહ્યું છે.