મોદી સરકારે પોતાનાં બીજા કાર્યકાળનાં શરૂ થતા જ નાના દુકાનદારો અને વેપારીઓને પેન્શન આપવાનાં વાયદા પર મહોર મારી છે. ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદીએ વેપારીઓને અનેક વાયદાઓ કર્યા હતાં જેમાંથી એક નાના દુકાનદારો અને વેપારીઓને માટે પેન્શન સ્કીમ લાગુ કરવાનું પણ હતું. આને બીજેપીએ પોતાનાં ચૂંટણી ઘોષણાપત્ર એટલે કે મેનિફેસ્ટોમાં પણ શામેલ કર્યા હતાં. મોદી સરકારનાં બીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠકમાં આ પેન્શન સ્કીમને મંજૂરી સહિત અનેક-અનેક મોટા નિર્ણયો કર્યા.
નવી દિલ્હીઃ મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળની શરૂઆતમાં જ નાના દુકાનદારો અને વેપારીઓને પેન્શન આપવાની યોજના પર મંજૂરીની મહોર મારી દીધી છે. મોદી સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલ ટ્રેડર્સ પેન્શન સ્કીમ હેઠળ દુકાનદારો અને નાના વેપારીઓને માસિક રૂ. ૩,૦૦૦ સુધીનું પેન્શન મળશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી) દ્વારા નાના વેપારીઓ માટે પેન્શન આપવાની છેલ્લાં ત્રણ વર્ષથી માગણી કરવામાં આવી રહી હતી અને હવે આ માગણી મંજૂર થતાં દેશના લગભગ ત્રણ કરોડ વેપારીઓને લાભ મળશે.
આ પેન્શન યોજના હેઠળ સરકાર નાના દુકાનદારો અને વેપારીઓને ૬૦ વર્ષની ઉંમર બાદ લઘુતમ રૂ. ૩ હજારનું પેન્શન આપશે. તમામ નાના દુકાનદારો, સેલ્ફ એમ્પ્લોઇડ લોકો અને રિટેલ્સ ટ્રેડર્સ, જેમનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૧.૫ કરોડથી ઓછું છે તેમણે આ સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તેમની ઉંમર ૧૮થી ૪૦ વર્ષની હોવી જોઇએ અને આ વેપારીઓને ૬૦ વર્ષની ઉંમર બાદ એટલે કે ૨૦ વર્ષ પછી પેન્શન મળશે.
જે દુકાનદાર કે વેપારી પેન્શન મેળવવા ઇચ્છતા હોય તેઓ દેશમાં કોમન સર્વિસ સેન્ટરની મદદથી રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અત્યારે દેશમાં ૩.૫ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર છે. પેન્શન સ્કીમનો લાભ લેવા નાના દુકાનદાર અને વેપારીઓએ પોતાના તરફથી પણ યોગદાન આપવું પડશે, જેમ કે જો કોઇ વેપારી પેન્શન સ્કીમમાં પ્રતિમાસ પોતાનો રૂ. ૧૦૦નો ફાળો આપશે તો સરકાર પણ તેના એકાઉન્ટમાં રૂ. ૧૦૦નું કોન્ટ્રિબ્યૂશન આપશે. આ પેન્શન સ્કીમનો લાભ લેવા આધારકાર્ડ કે બેન્ક એકાઉન્ટ સિવાય અન્ય કોઇ ડોક્યુમેન્ટ્સની જરૂર
રહેશે નહીં.