ભારત કોરોના વાયરસનો સામનો કરી રહ્યો છે ત્યારે દેશમાં મહામારીના કેટલાય ક્ષેત્રોને મોટો ફટકો પડ્યો છે. એમાંય મધ્યમ વર્ગ અને ગરીબો સૌથી વધારે પીડાઈ રહ્યા છે.
મોદી સરકારની મોટી જાહેરાત
દેશના છૂટક અને જથ્થાબંધ વ્યાપારીઓને MSME સેક્ટરમાં કરાશે સામેલ
સરકારના આ નિર્ણયથી 2.5 કરોડથી વધુ વ્યાપારીઓને મળશે લાભ
લૉકડાઉનના કારણે વેપાર ધંધા બંધ થઈ જતાં કેટલાય પરિવારો પાયમાલ થઈ ગયા છે ત્યારે મોદી સરકાર દ્વારા વિવિધ રાહત પેકેજની સાથે અન્ય નિર્ણયો દ્વારા લોકોને લાભ પહોંચાડવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
કોરોના મહામારીને કારણે દેશના છૂટક અને જથ્થાબંધ વ્યાપારીઓને થતાં નુકસાનમાંથી બહાર નિકળવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકાર હવે દેશના છૂટક અને જથ્થાબંધ વ્યાપારીઓને પણ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ વેપારને સામેલ કરવાનો નિર્ણય કર્યો છે. એમએસએમઈ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કોવિડ-19ની બીજી લહેરને કારણે આવેલા નુકસાનથી છૂટક અને જથ્થાબંધ વેપારીઓ પર પડેલી અસરને ધ્યાનમાં રાખીને હવે તેમને MSMEના દાયરામાં લાવવાનો નિર્ણય કર્યો છે.
2.5 કરોડથી વધુ વ્યાપારીઓને લાભ મળશે
નીતિન ગડકરીએ કહ્યું કે પ્રાયોરિટી સેક્ટર લેડિંગ અંતર્ગત આ સેક્ટરને લાવીને આર્થિક સહાયતા પહોંચાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. હવે છૂટક અને જથ્થાબંધ વ્યાપારી પણ રજીસ્ટ્રેશન કરી શકશે. જેનાથી તેમને આરબીઆઈના દિશા-નિર્દેશો હેઠળ બેંકોમાંથી પ્રાથમિક ક્ષેત્રમાંથી સસ્તી લોન મળવાનું સુનિશ્ચિત થશે. નાના, લઘુ મંત્રાલયે છૂટક અને જથ્થાબંધ વ્યાપારીઓને એમએસએમઈમાં સામેલ કરવા માટે સૂચના જાહેર કરી દીધી છે. સરકારના આ નિર્ણયથી 2.5 કરોડથી વધુ વ્યાપારીઓને તેનો લાભ મળશે.