નરેન્દ્ર મોદી સરકાર હવે આર્થિક મોરચે એક્શન મોડમાં આવી ગઇ છે. આર્થિક ક્ષેત્રે સરકાર દ્વારા હવે ઉપરાછાપરી મોટા અને મહત્ત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આ માટે ઉચ્ચ કક્ષાની સત્તાધારી સમિતિઓની પણ રચના થઇ ગઇ છે. મોદી સરકાર હવે એવો સ્પષ્ટ મેસેજ આપી રહી છે કે તેમને આગામી પાંચ વર્ષમાં આર્થિક વિકાસ અને આર્થિક સુધારા સિવાય બીજી કોઇ બાબતમાં રસ જ નથી.
આર્થિક સુધારાને વેગ આપવા માટે મોદી સરકારે બે મહત્ત્વના નિર્ણય લીધા છે. હવે આરટીજીએસ અને નેફ્ટ દ્વારા ફંડ ટ્રાન્સફર કરવા માટે કોઇ ચાર્જ લાગશે નહીં. આ ઉપરાંત આરટીજીએસ અને નેફ્ટ ટ્રાન્ઝેકશન માટેની સમયમર્યાદામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આરટીજીએસ અને નેફ્ટ ટ્રાન્ઝેકશન ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરવાની સરળ અને ઝડપી પદ્ધતિ છે.
નેફ્ટ એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને આરટીજીએસ એટલે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ. આરટીજીએસમાં તમે ફંડ ટ્રાન્સફર કરો એટલે સામેની વ્યક્તિના ખાતામાં તાત્કાલિક નાણાં જમા થઇ જાય છે, જ્યારે નેફ્ટમાં થોડો સમય લાગે છે. આ સમય પાંચ મિનિટનો પણ હોય કે પાંચ કલાકનો પણ હોઇ શકે છે. દરેક બેન્ક ચોક્કસ સંખ્યામાં નેફ્ટ થાય એટલે એકસાથે ખાતામાં નાણાં ટ્રાન્સફર કરે છે. બેન્કની ભાષામાં તેને બેચ કહેવામાં આવે છે.
બંને યોજના વચ્ચે બીજો ફરક ચાર્જનો છે. આરટીજીએસમાં તાત્કાલિક નાણાં ટ્રાન્સફર થતાં હોવાથી તેનો ચાર્જ વધુ લાગતો હતો, જ્યારે નેફ્ટ ટ્રાન્ઝેક્શનમાં આરટીજીએસની તુલનામાં ચાર્જ ઓછો લાગતો હતો, પરંતુ મોદી સરકારે હવે ડિજિટલ ફંડ ટ્રાન્સફરની આ બંને પદ્ધતિઓ પર ચાર્જ હટાવી લેતાં લોકોને અને ખાસ કરીને વેપારીઓને મોટી રાહત મળી છે.
આમ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે આર્થિક સુધારાની પ્રથમ પહેલરૂપે ડિજિટલ ઇન્ડિયા અભિયાનને ટોચની અગ્રતા આપવાના મૂડમાં છે, જોકે પીએમ મોદીના ડિજિટલ ઇન્ડિયા કેમ્પેનને હેકર્સ અને સાયબર ક્રિમિનલ્સ ઘણીવાર મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે અને ઓનલાઇન ફ્રોડના કિસ્સા વધતા જાય છે. મોદી સરકાર ડિજિટલ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપી રહી છે તે આવકાર્ય છે, પરંતુ સાથે-સાથે સાયબર સિક્યોરિટી ફૂલપ્રૂફ કરવાની પણ એટલી જ આવશ્યકતા છે.
આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પણ હવે હોમ બ્રાન્ચ સિવાયના બીજી બેન્કના એટીએમનાે ઉપયોગ કરવા પર લાગતા ચાર્જની સમીક્ષા કરનાર છે. એટીએમના ઉપયોગ માટે જે ચાર્જ કે ફી વસૂલવામાં આવે છે તે નાબૂદ થઇ શકે છે. મોનેટરી પોલિસી રિવ્યૂની બેઠક દરમિયાન આરબીઆઇએ એટીએમ ઇન્ટરચેન્જની સ્ટ્રક્ચર ફી એટલે કે બીજી બેન્કના એટીએમનો ઉપયોગ કરવા પર હાલ જે ફી કે ચાર્જ વસૂલ કરવામાં આવે છે તેની સમીક્ષા કરવા માટે એક કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે. જો એટીએમ ટ્રાન્ઝેક્શન પર વસૂલાતી ફી નાબૂદ કરવામાં આવશે તો મોદી સરકારના ડિજિટલ ઇન્ડિયા કેમ્પેનને વેગ મળશે એ વાતમાં કોઇ શંકાને સ્થાન નથી.
મોદી સરકાર આર્થિક મોરચે ખાસ કરીને ડિજિટલ ઇન્ડિયા અને ઓનલાઇન બેન્કિંગ માટે જે પગલાં ભરી રહી છે તેનાથી લોકોને ડિજિટલ બેન્કિંગ સિસ્ટમ અપનાવવાની ટેવ પડશે અને કેશ ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થશે. કેશ ટ્રાન્ઝેક્શન દ્વારા ઘણા ગોટાળા અને ગેરરીતિઓ થતી હોય છે તેને બ્રેક લાગશે. મોદી સરકાર કેશ ટ્રાન્ઝેક્શન ઘટાડવા માટે આગામી બજેટમાં કેશ ટ્રાન્ઝેક્શનની મર્યાદા નિર્ધારિત કરનાર છે અને નિયત મર્યાદા કરતાં વધુ કેશ ટ્રાન્ઝેક્શન થશે તો તેના પર ટેક્સ વસૂલ કરવામાં આવશે.