મોદી સરકારની કેબિનેટમાં ગુજરાતના નવા 3 સાસંદોને કેબિનેટમાં મંત્રી તરીકેની ફરજ અપાશે, નવા 3 સાંસદોને કેબિનેટમાં સ્થાન મળતાની સાથે ગુજરાતમાંથી કુલ 7 સાંસદોનો કેબિનેટમાં સમાવેશ થશે
ગુજરાતમાંથી ત્રણ નવા સાંસદોને કેબિનેટમાં મળ્યું સ્થાન
મહેન્દ્ર મુંજપરા, દર્શના જરદોશ અને દેવુસિંહ ચૌહાણને મળ્યું સ્થાન
ગુજરાતમાંથી હવે કુલ 7 સાંસદો કેન્દ્રમાં મંત્રી તરીકે બજાવશે ફરજ
મોદી સરકાર 2.Oમાં કેબિનેટનું વિસ્તરણ થતાની સાથે ગુજરાતના સાંસદોને પણ સ્થાન અપાયું છે. ગુજરાતના નવા 3 સાસંદોને કેબિનેટમાં મંત્રી તરીકેની ફરજ અપાશે. નવા 3 સાંસદોને કેબિનેટમાં સ્થાન મળતાની સાથે ગુજરાતમાંથી કુલ 7 સાંસદોનો કેબિનેટમાં સમાવેશ થશે.
અગાઉ પરસોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયા કેન્દ્રમાં મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગુજરાતમાંથી હવે સાંસદ અને મંત્રી તરીકે નામ જોવામાં આવે તો, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી અને ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ એસ.જયશંકર, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા, દર્શના જરદોશ, દેવુસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુંજપરાનો પાછળથી સમાવેશ કરાયો છે.
મહેન્દ્ર મુંજપરા (લોકસભા સાંસદ, સુરેન્દ્રનગર)
વ્યવસાયે તબીબ અને સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભા બેઠકના સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયા હતા. 21 સપ્ટેમ્બર 1968ના રોજ જન્મેલા ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ચુવાલિયા કોળી સમુદાયમાં લોકચાહના ધરાવે છે. સુરેન્દ્રનગર ખાતે તેમનું મુંજપરા દવાખાનું પણ આવેલું છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી પહેલી જ વખત ચૂંટણી લડતા ભાજપના ડૉ. મહેન્દ્ર મુંજપરાએ સતત 7 વખત લોકસભા ચૂંટણી લડેલા કૉંગ્રેસના સોમાભાઈ પટેલને 2.65 લાખથી વધુ મતોથી હરાવી ઐતિહાસિક જીત મેળવી હતી. તેમણે સાંસદ તરીકેના શપથ સંસ્કૃતમાં લીધા હતા તથા પિતાની જગ્યાએ માતાના નામનો ઉલ્લેખ કરીને ચર્ચામાં આવ્યા હતા.
દર્શનાબેન જરદોશ (લોકસભા સાંસદ, સુરત )
કાશીરામ રાણાના પુરોગામી અને ભાજપના પાયાના કાર્યકર્તા દર્શનાબેન જરદોશ સુરત મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર વખત તેઓ 2009ના સમયમાં ચૂંટાયા હતા.તેણી સંસદના સભ્ય તરીકે ચૂંટણી 2014 દરમિયાન લોકસભાની સુરત બેઠક પરથી ફરી ચૂંટાયા હતા. તેમણે ઐતિહાસિક જીત પોતાના પ્રતિસ્પર્ધી કરતાં 5,33,190 વધુ મત સહિત મેળવી હતી. તો પ્રથમ ઘટના હતી કે, ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી બાદ ઈતિહાસની બીજી મહિલા જેમણે સૌથી વધુ મત મેળવ્યા હતા. તેમનો જન્મ 21 જાન્યુઆરી 1961ના રોજ થયો હતો.
પરષોત્તમ રૂપાલા (રાજ્યસભા સાંસદ)
રમૂજી સ્વભાવ અને સંઘ ગોત્ર ધરાવતા પરષોત્તમ રૂપાલા ગુજરાત ભાજપમાં પણ ભાર ધરાવે છે. તેઓ 2016થી રાજ્યસભાના સભ્ય છે તથા તેઓ રાજ્યકૃષિમંત્રી તરીકેનો પદભાર ધરાવે છે. તેઓ અમરેલીના ધારાસભ્ય તરીકે પણ જવાબદારી નીભાવી ચૂક્યા છે.
દેવુસિંહ ચૌહાણ (લોકસભા સાંસદ, ખેડા)
ખેડા વિસ્તારના લોકસભા સાંસદ દેવુસિંહ ચૌહાણનો જન્મ 29 ઓક્ટોબર 1964ના રોજ ખેડાના નવાગામમાં થયો હતો. 1989થી 2002 સુધી દેવુ સિંહ ચૌહાણે ઓલ ઈન્ડિયા રેડિયોમાં એન્જીનીયર તરીકે કામ કર્યું હતું. હાલ તેઓ 16મી લોકસભાના ખેડા વિસ્તારના સાંસદ છે.