કેન્દ્રની મોદી સરકારે ગેરકાનૂની ગતિવિધિ કાનૂન (UAPA) હેઠળ મૌલાના મસૂદ અઝહર, દાઉદ ઇબ્રાહિમ, જાકિર ઉર રહમાન લખવી અને હાફિજ સઇદને આતંકી જાહેર કર્યા છે. આ 4 આતંકીઓ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરાઇ છે.
જૈશ એ મોહમ્મદના સરગના મસૂદ અઝહર પર ભારતમાં 5 આતંકી હુમલા કરવાનો આરોપ છે. આ વર્ષે જ મે માસમાં મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આંતકી પણ જાહેર કરાયો હતો.
કેન્દ્રની મોદી સરકાર તરફથી 17મી લોકસભાના પહેલા સત્રમાં ગેરકાનૂની ગતિવિધિ કાનૂન (UAPA) બિલ પાસ કરાવાયું હતું. આ હેઠળ કેન્દ્ર સરકાર પાસે કોઇપણ વ્યક્તિને આંતકવાદી જાહેર કરવાની અને તેમની સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર મળ્યો છે. આ બિલ હેઠળ સરકાર એ લોકોને આંતકવાદી તરીકે દર્શાવી શકે છે, જે આંતકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલા છે અથવા કોઇપણ રીતે આતંકને પ્રોત્સાહન આપે છે.
યૂએપીએની નવી જોગવાઇઓ મુજબ, વ્યક્તિગત રીતે કોઇને પણ આતંકી જાહેર કરી શકાય છે. આ પહેલા માત્ર આંતકી સંગઠનોને જ આતંકી જાહેર કરી શકાતા હતા. હવે એમનુ નામ આ સૂચીમાં આવ્યા બાદ આ આતંકી પણ વ્યક્તિગત સૂચીમાં સામેલ થશે. આવનાર દિવસોમાં અન્ય ઘણા કુખ્યાત નામ પણ આ સૂચીમાં જોડવામાં આવશે.