વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રવિવારે સવારે 11 વાગ્યે અગ્રિકલચરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત 1 લાખ કરોડ રૂપિયાની નાણાકીય સુવિધા શરૂ કરશે. આ સાથે વડા પ્રધાન કિસાન યોજનાના છઠ્ઠા હપ્તા રૂપે 8.5 કરોડ ખેડૂતો માટે રૂપિયા 2000 ચુકવશે. આમ કુલ 17,000 કરોડ રુપિયા આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં દેશભરના લાખો ખેડુતો, સહકારી મંડળીઓ અને લાખો નાગરિકો ભાગ લેશે. આ પ્રસંગે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર પણ ઉપસ્થિત રહેશે.
વિવિધ કૃષિ લક્ષી કામો માટે ફંડનો ઉપયોગ થઇ શકશે
કેન્દ્રીય મંત્રીમંડળે એગ્રિકલચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ હેઠળ રૂપિયા 1 લાખ કરોડના ફાઇનાન્સિંગની સુવિધાને મંજૂરી આપી હતી. આ ફંડનો ઉપયોગ પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોલ્ડ સ્ટોરેજ, કલેક્શન સેન્ટર્સ, પ્રોસેસિંગ યુનિટ્સ વગેરે કમ્યુનિટી ફાર્મિંગ એસેટ્સના નિર્માણ માટે કરવામાં આવશે. આનાથી ખેડુતોને તેમની પેદાશનો સારો ભાવ મળશે. વિવિધ નાણાકીય સંસ્થાઓની સહાયથી 1 લાખ કરોડ રૂપિયાની રકમ ઉભી કરવામાં આવશે. સરકાર દ્વારા સંચાલિત 12 બેંકોમાંથી 11 બેંકો DAC&FW સાથે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરી ચૂક્યા છે.
3 ટકા વ્યાજમાં રાહત અને 2 કરોડ રૂપિયા સુધીની ક્રેડિટ ગેરેંટી આપવામાં આવશે
પ્રોજેક્ટને વધુ કાર્યક્ષમ બનાવવા માટે લાભાર્થીઓને 3 ટકા વ્યાજમાં રાહત અને 2 કરોડ રૂપિયા સુધીની ક્રેડિટ ગેરેંટી આપવામાં આવશે. યોજનાના લાભાર્થીઓમાં ખેડૂત, PAC, માર્કેટિંગ સહકારી મંડળીઓ, FPO, SHG, જોઈન્ટ લાયેબિલિટી ગ્રુપ, બહુહેતુક સહકારી મંડળીઓ, એગ્રી એન્ટરપ્રેન્યોર્સ, સ્ટાર્ટ-અપ્સ અને સેન્ટર / સ્ટેટ એજન્સી અથવા સ્થાનિક સંસ્થા દ્વારા સપોર્ટેડ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવશે.
આધાર કાર્ડથી જોડાયેલા ખેડૂતોને લાભ મળી રહ્યો છે
1 ઓક્ટોબર 2018 ના રોજ શરૂ કરાયેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત, 9.9 કરોડથી વધુ ખેડુતોને 75,000 કરોડ રૂપિયાથી વધુનો સીધો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ, આધાર કાર્ડથી જોડાયેલા લાભાર્થીના બેંક ખાતામાં નાણાં સીધા જ જમા થાય છે.