કેન્દ્ર સરકારે યૂ-ટર્ન લેતા સુપ્રીમ કોર્ટને જણાવ્યુ કે તે સોશિયલ મીડિયા હબ બનાવવાના પ્રસ્તાવની પોતાની સૂચનાને પાછી લઈ રહ્યા છે. કેટલાક લોકોએ આરોપ લગાવ્યો છે કે આ હબ નાગરીકોની ઓનલાઈન ગતિવિધિઓ પર નજર રાખવાનું હથિયાર બની શકે છે.
ચીફ જસ્ટીસ દીપક મિશ્રા ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ધનનંજય વાય ચન્દ્રચુંડની ત્રણ સભ્યોની ખંડપીઠે કેન્દ્ર તરફથી એટોર્ની જનરલ કે કે વેણુગોપાલની આ દલીલ પર વિચાર કર્યો કે અધિસૂચનાને પાછી લેવામાં આવી રહી છે. ત્યાર બાદ કોર્ટે તેને પડકાર આપનારી અરજીઓ ખારીજ કરી દીધી.
વેણુગોપાલે પીઠને જણાવ્યુ કે સરકાર સોશિયલ મીડિયા નીતિની પૂરી રીતે સમીક્ષા કરશે. પીઠ તૃણમૂલ કોંગ્રેસના ધારસભ્ય મહુઆ મોઈત્રાની એક અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં આરોપ લગાવાયો છે કે કેન્દ્રની સોશિયલ મીડિયા હબ નીતિનું નાગરિકોની સોશિયલ મીડિયા ગતિવિધિઓ પર નજર રાખવાના હથિયાર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવશે. અરજીમાં તેને રદ્દ કરવાની વિનંતિ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે 13 જૂલાઈએ આ અરજી વિચારણા સ્વીકાર કરતા સરકારને કહ્યુ હતુ કે આવું હબ બનાવવાનું તેનું પગલું શું લોકોના વ્હોટ્સએપ મેસેજો પર નજર રાખવા માટે છે અને સાથે એ પણ કહ્યુ હતુ કે આ 'સર્વેલાંસ સ્ટેટ' બનાવવા જેવું હશે.