કોરોના મહામારીના કાળમાં સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં સરકારથી કોરોના વાયરસ મહામારીથી લઈને અર્થતંત્ર સુધીના ઘણા બધા સવાલ કરવામાં આવ્યા જોકે એવા ઘણા બધા સવાલ છે જેમાં સરકારના હાથ ખાલી છે અને કહી રહી છે અમારા પાસે કોઈ માહિતી નથી.
સંસદમાં સરકારે પૂછવામાં આવેલા સવાલો સામે સરકારના હાથ ખાલી
પરપ્રાંતીયોની મોત અને રોજગારીના સવાલ પર સરકાર હાથ ઊંચા કરી લીધા
કોરોના વોરિયર્સ પર સરકારના જવાબ બાદ ભડકી ઉઠ્યું IMA
કેટલા પરપ્રાંતીયો મરી ગયા તેની માહિતી નથી
સત્ર શરુ થયાનાં પહેલા જ દિવસે સરકારે કહ્યું કે તેની પાસે પરપ્રાંતીય લોકોમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યા તે વિશે કોઈ આંકડા નથી કારણ કે તે સમયે મહામારીના લીધે લોકડાઉન લગાવવામાં આવેલ હતું.
નોંધનીય છે કે દેશભરમાં જ્યારે કડક લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું હતું તે બાદ લાખો લોકોએ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પોતાના વતનની વાટ પકડી હતી. મોટા ભાગના લોકોનું કામ બંધ થઇ જવાના કારણે પોત-પોતાના ગામડે જવું પડ્યું જેમાં લાખોની સંખ્યામાં શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા અને પગપાળા જ ચાલતી પકડી. આ દરમિયાન કેટલાક શ્રમિકોના મોતની ખબર પણ સામે આવી પણ સરકારે કહ્યું કે તેમની પાસે આ મુદ્દે કોઈ આંકડા નથી
કેટલા પરપ્રાંતિયોએ નોકરી ગુમાવી તેના આંકડા નથી
આ જ સવાલની સાથે પૂછવામાં આવ્યું હતું કે કેટલા પરપ્રાંતીય શ્રમિકોએ પોતાની નોકરી ગુમાવી તો સરકાર પાસે તેના પણ કોઈ આંકડા નથી કે કોઈ માહિતી નથી. જોકે વર્લ્ડ બેંકનો અહેવાલ જોઈએ તો ભારતમાં એપ્રિલ મહિનામાં ચાર કરોડ પરપ્રાંતીયએ પોતાની રોજગારી ગુમાવી.
કેટલા કોરોના વોરિયર્સે સેવા કરતા કરતા જીવ ગુમાવ્યા તેના આંકડા નથી
આ સિવાય કોરોના વાયરસના ભારતના જે વોરિયર્સ છે તે મુદ્દે પણ સરકાર પાસે માહિતી નથી. સંસદમાં 15મી સપ્ટેમ્બરે એક લેખિત જવાબમાં હર્ષવર્ધને કહ્યું છે કે સ્વાસ્થ્ય રાજ્યનો વિષય છે અને આવી માહિતીઓ કેન્દ્ર લેવલ પર રાખવામાં આવતી નથી.
ભડકી ઉઠ્યું IMA
જોકે તે બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભડકી ઉઠ્યું હતું અને પોતે જ 382 એવા ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સની યાદી બહાર પાડી જેમણે આ મહામારીમાં પોતાના જીવ ગુમાવ્યા. IMAએ કહ્યું કે જો સરકાર આ આંકડા જ નથી રાખતી તો Epidemic Act 1897 and the Disaster Management Act રાખવાનો કોઈ નૈતિક અધિકાર જ નથી. IMAએ કહ્યું કે હર્ષવર્ધનના જવાબથી હેલ્થ વર્કર્સને કોરોના વોરિયર્સ કહેવાના પાખંડને ઉજાગર કરે છે. ભારત સિવાય અન્ય કોઈ દેશમાં આટલા ડોક્ટર્સ અને હેલ્થ વર્કસની મોત થઇ નથી.
પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યા તેની માહિતી નથી
આ જ રીતે જ્યારે સરકારને મહામારીના કારણે જીવ ગુમાવનારા પોલીસકર્મીઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે ગૃહરાજ્યમંત્રીએ જવાબ આપ્યો કે પોલીસકર્મીઓ જે કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યા છે તેના આંકડા કેન્દ્રીય કક્ષા પર રાખવામાં આવતા નથી.
અર્થતંત્ર પર પહેલા કહ્યું હતું કે એક્ટ ઓફ ગોડ
નોંધનીય છે કે થોડા સમય પહેલા દેશના નાણામંત્રી દ્વારા આપવામાં આવેલ આવું જ એક નિવેદન ખૂબ ચર્ચાનો વિષય બન્યું હતું. સરકારને GSTના ભંડારમાં જે ઘટ પડી અને અર્થતંત્રને જે નુકસાન થયું તેના પર નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ બધું એક્ટ ઓફ ગોડ છે.