નવી દિલ્હીઃ 2019 લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે ગરીબ પરિવારો માટે મોટુ એલાન કર્યું છે. સરકારે ઉજ્જવલા યોજના હેઠળ તમામ પરિવારોને ફ્રીમાં LPG કનેક્શન આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ મંજૂરી બાદ હવે ગરીબ પરિવારોને ફ્રીમાં LPG કનેક્શન મળશે.
જો કે આ સુવિધા 2011ની સામાજિક-આર્થિક જાતિ જનગણનાના આધારે આપવામાં આવી રહ્યા હતા. બાદમાં તેમાં વધારો કરીને અનુસુચિત જાતિ અને જનજાતિ પરિવારો સિવાય પ્રધાનમંત્રી આવાસ યોજના અને અંત્યોદય યોજનાના લાભાર્થીઓને પણ સામેલ કરવામાં આવ્યા. હવે આ યોજનામાં સુધારો કરીને તમામ ગરીબ પરિવારને સામેલ કરવામાં આવ્યા છે.
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે આર્થિક મામલાના મંત્રીમંડળની સમિતીએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના વિસ્તારના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જે હેઠળ તમામ ગરીબ પરિવારોને ફ્રીમાં LPG કનેક્શન મળશે. આ યોજનામાં ગ્રાહકોએ ગેસની સગડી ખરીદવાની રહેશે.