કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓને તહેવારની મોટી ભેટ આપી છે. તહેવારોની સિઝન શરૂ થતાં પહેલાં જ કેન્દ્રએ પોતાના કર્મચારીઓને હાથમાં રોકડ આપવાનો નિર્ણય કર્યો છે કે જેથી બજારમાં માગ વધારી શકાય. તહેવારના ટાણે કેન્દ્ર સરકાર તરફથી સરકારી કર્મચારીઓ માટે અતિમહત્ત્વની અને લાભકારી જાહેરાત કરવામાં આવી હતી.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને સરકારી કર્મચારીઓ માટે એલટીસી વાઉચર યોજના બહાર પાડી છે. આ સ્કીમમાં તેઓ રજાઓના બદલે કેશ વાઉચરનો વિકલ્પ લઇ શકે છે, જેનો ઉપયોગ બિનખાદ્યસામગ્રી ખરીદવા માટે કરી શકાશે, જેના પર જીએસટી લાગુ હોય. એલટીસી સ્કીમ દર ચાર વર્ષે સરકાર એના કર્મચારીઓને તેમની પસંદગીના સ્થળે પ્રવાસ માટે આપે છે. આ સિવાય એલટીસી ગૃહરાજ્યની યાત્રા માટે પણ આપવામાં આવે છે.
વર્તમાન સ્થિતિને જોતાં માનવામાં આવી રહ્યું છે કે એલટીસી વાઉચર સ્કીમનો લાભ બજારને મળશે. આ યોજનાથી ૩૧ માર્ચ, ર૦ર૧ સુધી રૂ.૩૬,૦૦૦ કરોડ સુધી કન્ઝ્યુમર ડિમાન્ડ આવી શકે છે. આ સ્કીમનો લાભ કેન્દ્રના કર્મચારીઓ સહિત રાજ્ય સરકાર અને પબ્લિક સેક્ટરની કંપનીઓના કર્મચારીઓને પણ મળશે.
તહેવારોમાં લોકો ઘર બહાર નીકળે નહીં
તો બીજી બાજુ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પ્રધાને લોકોને એવી સલાહ આપી છે કે તહેવારોમાં લોકો ઘર બહાર નીકળે નહીં. તેમણે જણાવ્યું હતું કે શિયાળામાં કોરોના વધુ ઘાતકી બનશે અને તહેવારોમાં જો લાપરવાહી દાખવવામાં આવશે તો કોરોનાનું સંક્રમણ ઝડપથી વધશે. આનો અર્થ એ થયો કે લોકો ઘરે જ બેસીને તહેવાર મનાવે અને શોપિંગ કરવું હોય તો ઇ-કોમર્સ કંપનીઓ પાસેથી ઓનલાઇન શોપિંગ કરે.
સરકારે ઇ-કોમર્સ બિઝનેસને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કર્યો
આ પરથી એવું લાગે છે કે સરકારે ઇ-કોમર્સ બિઝનેસને પ્રોત્સાહિત કરવાનો નિર્ણય કર્યો છે, જોકે નાણાપ્રધાન નિર્મલા સીતારમને તાજેતરમાં ઉતાવળે પ્રેસ કોન્ફરન્સ બોલાવીને આર્થિક રાહત પેકેજની જાહેરાત કરી હતી. આ અગાઉ તેમણે પાંચ દિવસ સુધી પ્રેસ કોન્ફરન્સ યોજીને રૂ.ર૧ લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું, પરંતુ આ જાહેરાતના આજે ચાર મહિના બાદ પણ સામાન્ય લોકોના જીવનમાં કોઇ ખાસ ફરક પડ્યો નથી તેમજ દેશના અર્થતંત્રમાં કોઇ સકારાત્મક બદલાવ આવ્યો નથી.
ર૧ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી
જે મહિને રૂ.ર૧ લાખ કરોડના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવી હતી એ જ કવાર્ટરમાં આર્થિક વિકાસદર માઇનસ ર૪ ટકા થઇ ગયો હતો. આથી પ્રશ્ન એ છે કે સરકારે જે પેકેજ જાહેર કર્યું તેનાથી અર્થતંત્રમાં શું પ્રભાવ પડ્યો? સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવે છે તેમાં મોટા ભાગે લોકોને લોન લઇને કરજદાર બનાવવાની જોગવાઇ હોય છે. આમ, આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે ડિમાન્ડ સાઇડ મજબૂત બનાવવાની વાત હતી ત્યારે સરકાર સપ્લાય સાઇડને મજબૂત કરવાના ઉપાય કરી રહી હતી.
હવે જો રૂ.ર૧ લાખ કરોડના પેકેજની કોઇ ખાસ અસર થઇ નથી તેમ છતાં સરકાર કેમ ઉપરાછાપરી પેકેજ જાહેર કર્યે રાખે છે. સરકાર હવે એવું પેકેજ લાવી છે, જેમાં એવો ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે કે સરકાર ડિમાન્ડ સાઇડને મજબૂત કરવા માટે પેકેજ જાહેર કરી રહી છે. એવુું કહેવાય છે કે તેનાથી રૂ.એક લાખ કરોડની ડિમાન્ડ ઊભી થશે, પરંતુ તેની શક્યતા ઘણી ઓછી છે, કારણ કે સરકારે કોઇ વધારાનાં નાણાં લોકોને આપ્યાં નથી. સરકારે કેન્દ્રીય કર્મચારીઓને રજા અને એલટીસીના ભથ્થાનાં જ નાણાં આપ્યાં છે અને તેનો પણ ખર્ચ કરવા માટે કેટલીયે આકરી શરતો મૂકી છે. આ કર્મચારીઓના જ પૈસા છે, જે તેમને મળે છે, પરંતુ તેનો ખર્ચ કરવા માટે કર્મચારીઓએ પોતાના ખિસ્સામાંથી આ રકમ કરતાં બમણી રકમ ખર્ચવી પડશે.
બીજી શરત અે છે કે આ નાણાંથી ખાદ્ય કે અન્ય કોઇ જરૂરી ચીજવસ્તુઓ ખરીદી શકાશે નહીં અને જો લોકોએ આવી ચીજો ખરીદવી હશે તો ૧ર ટકા જીએસટી ચૂકવવો પડશે. આમ, સરકાર પોતાના એક રૂપિયામાંથી કર્મચારીઓ પાસેથી ૩૬ પૈસા જીએસટી તરીકે પાછા લઇ લેશે. આમ, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ પેકેજનો કોઇ અર્થ નથી.