24 કલાક વીજળી આપવાનું વચન આપ્યા બાદ મોદી સરકાર હવે ટૂંક સમયમાં વીજળીના ગ્રાહકોને એક નવી ભેટ આપનાર છે. કેન્દ્રની મોદી સરકાર હવે પ્રત્યેક રાજ્યમાં ચારથી પાંચ કંપનીઓને વીજળી વિતરણ લાઇસન્સ આપવાની યોજના તૈયાર કરી રહી છે. તેના પગલે હવે ગ્રાહકો મોબાઇલની જેમ વીજળી કંપનીઓ પણ બદલી શકશે. બીજા શબ્દોમાં કહીએ તો વીજળી કંપની બદલવા માટે પોર્ટેબિલિટીનો લાભ મળશે.
ગ્રાહકોને મળશે લાભ
વીજ કંપની બદલવા માટે મળશે પોર્ટેબલિટીનો લાભ
વીજપ્રધાન આર.કે. સિંહે જણાવ્યું છે કે ગ્રાહકોને સસ્તી વીજળીની ઉપલબ્ધતા સાથે પોતની પસંદગીની વીજ વિતરણ કંપની પસંદ કરવાની સ્વતંત્રતા મળવી જોઇએ. રાજ્યના વીજ અને અક્ષય ઊર્જા પ્રધાનોના સંમેલનમાં કેન્દ્રીય વીજપ્રધાન આર.કે. સિંહે જણાવ્યું હતું કે રિટેલ બિઝનેસ સરકારનું કામ નથી અને કેન્દ્ર સરકાર તમામ રાજ્યમાં ત્રણથી ચાર નાની પ્રાઇવેટ કંપનીઓને લાઇસન્સ આપવા વિચારણા કરી રહી છે કે જેઓ પોતાના સંબંધિત ક્ષેત્રમાં વીજ પુરવઠો પૂરો પાડશે. તેનાથી વીજળીના ગ્રાહકોને વીજ કંપની બદલવાનો વિકલ્પ પણ મળી શકશે.
કેન્દ્રીય વીજપ્રધાને વીજળીના વધુ ચાર્જ પર નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે કેટલાંક રાજ્યમાં વીજળીનો દર પ્રતિયુનિટ 8 રૂપિયા છે, જ્યારે વીજ વિતરણ કંપનીઓ તેનાથી ઘણા ઓછા ભાવમાં ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડી રહી છે. આ બેઠકમાં સમગ્ર દેશમાં વીજના દર પ્રતિયુનિટ એકસરખા રાખવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે રાજ્યના સરકારી વિભાગો પર રૂ.47 હજાર કરોડ બાકી નીકળે છે. સરકારી વિભાગો જો પોતાનું બિલ ચૂકવી આપે તો વીજ કંપનીઓની સ્થિતિમાં સુધારો થઇ શકે છે. તેમણે એવું પણ જણાવ્યું કે સરકારી વિભાગોનાં કાર્યાલયોમાં હવે ટૂંક સમયમાં પ્રીપેઇડ મીટર લગાવાશે અને જે વિભાગ જેટલા રૂપિયાનું ટેરિફ ચૂકવશે તેટલી જ વીજળી તેમને મળશે.