મોદી સરકારના દિગ્ગજ મંત્રી રાજીવ ચંદ્રશેખર અમદાવાદની મુલાકાતે આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરએ કરી જન્મ સ્થળની મુલાકાત
57 વર્ષે જન્મસ્થળે આવેલા મંત્રીએ વાગોળી માતા સાથેની યાદો
યુવાઓને આગળ લાવવા ભાજપ પ્રયત્નશીલ છેઃ રાજીવ ચંદ્રશેખર
ગુજરાતમાં ધીમે પગલે ચુંટણીના આગમનને લઈને રાજકીય પાર્ટીઓના અગ્રણીઓના ગુજરાત પ્રવાસમાં વધારો આવી રહ્યો છે. તેવામાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે અમદાવાદની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મંત્રી નવરંગપૂરા ખાતે આવેલ પોતાના જન્મસ્થળ ખાતે પહોંચ્યા હતા. જ્યાં પોતાના ઘર નિકેતન હેરિટેજ વિલા ખાતે 57 વર્ષ બાદ આવેલા મંત્રીએ પોતાની માતા સાથેની યાદોને વગોળી અને ભાવુક થયા હતા.
ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છેઃ રાજીવ ચંદ્રશેખર
ગુજરાતમાં ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રીઓની મુલાકાતનો દોર શરૂ થયો છે જેંના ભાગરૂપે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ, આઈટી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી રાજીવ ચંદ્રશેખર ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. જેમાં અમદાવાદની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરએ VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં હાલ ચુંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. ત્યારે ખંત અને કૌશલ્યશીલ યુવાનોને આગળ લાવવા ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત સાથે મારે પહેલેથી જ ગાઢ સંબધ રહ્યો છે. જેનું કારણ છે મારી માતા આ સ્ટેટ તરફથી હોકી પ્લેયર હતા. એટલું જ નહી તેઓ આજે પણ પોતાની સિસ્ટર સાથે ગુજરાતી ભાષામાં જ વાત કરે છે. વધુમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ ખાતે આવેલ ભદ્રકાળી મંદિર, કેમ્પ હનુમાન મંદિર, ભવનાથ મંદિર ખાતે દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
યુવાઓ, ઉદ્યોગકારો સાથે કરશે વાતચીત
આ ઉપરાંત આગામી ચુંટણીમાં રાજ્યના વધુને વધુ યુવાનો ભાજપની વિચારધારા સાથે જોડાઈ તે માટે ભાજપ પ્રયત્નશીલ છે જેના ભાગરૂપે મંત્રી રાજીવ ચંદ્રશેખર અમદાવાદ અને ગાંધીનગરની ત્રણ યુનિવર્સિટીઓની મુલાકાત લેશે. જ્યાં મંત્રી દ્વારા સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકો સાથે વાર્તાલાપ કરવામાં આવશે. યુવાનો ભાજપના રંગે રંગાઈ તે માટે કેન્દ્રીય મંત્રી વિદ્યાર્થીઓ સાથે ખાસ વાતચીત કરી યુવાઓમાં ભાજપની યોજનાઓ અને વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરશે.