ત્રણ રાજ્યોમાં ચૂંટણીમાં ભાજપની હાર બાદ કેન્દ્રની મોદી સરકાર હવે ખેડૂતોને રિઝવવાના પ્રયાસ કરી રહી છે. જે માટે મોદી સરકાર તેલંગાણાના ટ્રંપ કાર્ડનો ઉપયોગ કરી શકે છે. આ ટ્રંપ કાર્ડથી ખેડૂતોને આર્થિક સહાય મળી શકશે. કેન્દ્ર સરકાર પોતાના સ્તર પર પહેલીવાર આવી યોજના લાવવા જઈ રહી છે. પણ આ પ્રેરણા તેલંગાણાના કે.ચંદ્રશેખર રાવ સરકારથી મળી છે.
ગયા વર્ષે નવેમ્બરમાં દિલ્હીમાં જ્યારે દેશભરમાંથી ખેડૂતોનો લોકજુવાળ સામે આવ્યો ત્યારે તેલંગાણાના ખેડૂતો આ વિરોધ પ્રદર્શનથી અળગા રહ્યા હતા. તે પાછળ તેલંગાણા સરકારની રેત બંધુ યોજના કારણ હતું. જેને લઈને ખેડૂતોને મોટી રાહત મળી હતી.
ત્યારે હવે 2019માં કેન્દ્રમાં સત્તા મેળવવા માટે મોદી સરકાર પણ આવી જ કોઈ સ્કીમ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે. 2018માં લોન્ચ કરવામાં આવેલી રેત બંધુ સ્કીમ ભારતની પહેલી એવી યોજના છે કે જેનાથી ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમા થઈ રહ્યા છે. જેનો લાભ 57 લાખ ખેડૂતોએ લીધો હતો.
તેલંગાણામાં એક વર્ષમાં ખેડૂતોને 8 હજાર રૂપિયા મળે છે. જેનાથી સરકાર પર અંદાજે 10 હજાર કરોડનો બોજ પડ્યો હતો. તો છત્તીસગઢ ઝારખંડ ઓરિસ્સા બંગાળમાં પહેલાં જ આવી સ્કીમનું એલાન પણ થઈ ચૂક્યુ છે. ત્યારે મોદી સરકાર ખેડૂતોને રિઝવવામાં કેટલા સફળ સાબિત થશે એ જોવાનું રહ્યું.