મોદી સરકાર દ્વારા વિવિધ PSU ની મિલકતો વેચવા અથવા ભાડે આપવામાં આવી રહી છે ત્યારે હવે 600 કરોડની વધુ પ્રોપર્ટી વેચવાની યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ટ્રાન્સમિશન લાઈન, ટેલિકોમ ટાવર, ગેસ પાઈપલાઈન, એરપોર્ટ, PSU સહિતની સરકારી કંપનીઓની ઘણી મિલકતો વેચવા અથવા ભાડે આપવાની તૈયારી કરી લીધી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર આશરે 600 કરોડ રૂપિયાના જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) ના જમીન પ્લોટ વેચવાની યોજના બનાવી રહી છે.
ઓનલાઈન બિડિંગ પ્લેટફોર્મ દ્વારા વેચાણ
'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના એક રિપોર્ટ અનુસાર, સરકાર આ કામ તેના નવા ઓનલાઈન બિડિંગ પ્લેટફોર્મ દ્વારા કરશે. કેન્દ્ર સરકાર બિનઉપયોગી મિલકતો વેચીને ભંડોળ એકત્ર કરવા માંગે છે. આ કામ નાણા મંત્રાલયના રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ (DIPAM) દ્વારા કરવામાં આવશે. જે રીતે નીતિ આયોગે કરોડોની સંપત્તિના મુદ્રીકરણનું કામ કર્યું છે તે જ રીતે આ કરવામાં આવશે.
રિપોર્ટ અનુસાર, 'DIPAM' હવે BSNL, MTNL, BEML, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SCI) સહિત PSUs ની રિયલ એસ્ટેટ વેચવા માટે ટૂંક સમયમાં અંતિમ મંજૂરી લેવા જઈ રહી છે. સરકારી સંસ્થા એમએસટીસી દ્વારા વિકસિત ઈ-બિડિંગ પ્લેટફોર્મ દ્વારા મિલકતનું આ પ્રથમ વેચાણ હશે.
ભાજપ સૂટ-બૂટની સરકાર: દિગ્વિજય સિંહ
આપને જણાવી દઈએ કે દેશમાં ખાનગીકરણ અને વધતી જતી મોંઘવારીને લઈને વિપક્ષ સતત મોદી સરકારને નિશાન બનાવી રહ્યો છે. કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ગુરુવારે મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે ભાજપ સૂટ-બૂટની સરકાર છે. તેની તમામ નીતિઓ બિઝનેસ હાઉસીસ પાસેથી લેવામાં આવી છે.
દિગ્વિજયે કહ્યું કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સંપત્તિના ખાનગીકરણ માટે જે કામ કરી રહી છે તેનો વિરોધ કરશે. આજે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જે તફાવત દેખાય છે તે યોગ્ય અને અયોગ્ય પુત્ર વચ્ચેનો તફાવત છે.
શું આ કામ માટે જનતાએ મોદીને સરકારમાં મોકલ્યાં છે?
પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું, “પૂર્વજોની સંચિત સંપત્તિ બચાવવાનું કામ લાયક પુત્ર કરતો હોય છે. નાલાયક પુત્ર તેને વેચી કાઢે છે, જે ભાજપ કરી રહ્યું છે" તેમણે કહ્યું કે, "નરેન્દ્ર મોદી દેશના સારા પ્રધાનમંત્રી કેવી રીતે બનશે, તેઓ દેશની સંપત્તિ વેચવાનું કામ કરી રહ્યા છે. શું આ કામ માટે જનતાએ તેમને સરકારમાં મોકલ્યાં છે?