રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક કરશે માંડવિયા
ચીનમાં કોરોનાના નવા પ્રકારને કારણે થયેલા નુકસાનને જોઈને ભારત સરકાર ખૂબ જ સાવધ બની ગઈ છે. આ તરફ બેઠકોનો દોર પણ યથાવત છે. આ દરમ્યાન એક સમાચાર આવ્યા છે કે, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા આજે (23 ડિસેમ્બર) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક કરશે. આ બેઠકમાં પરિસ્થિતિનો સામનો કરવા અને કોઈ પણ મોટી મુશ્કેલીથી બચવા માટે એક યોજના બનાવવામાં આવશે. માંડવિયાએ ગુરુવારે રાજ્યસભામાં ભારતની તૈયારીઓ પર સ્વતઃ સંજ્ઞાન લઈને નિવેદન આપ્યું હતું.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ કહ્યું કે, અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. અત્યારે ચીન અને ભારત વચ્ચે સીધી ફ્લાઈટ નથી પરંતુ લોકો અન્ય રૂટથી આવે છે. આવી સ્થિતિમાં અમે એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ કે, વાયરસનું કોઈ અજ્ઞાત સ્વરૂપ ભારતમાં પ્રવેશ ન કરે અને તે જ સમયે મુસાફરીમાં કોઈ અવરોધ ન આવે.
Union Health Minister Dr Mansukh Mandaviya will hold a meeting with State health ministers on the COVID-19 situation and preparedness at 3pm today: Sources
આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન સાથે કેન્દ્રીય પ્રધાનની બેઠકના એક દિવસ પહેલા બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે ગુરુવારે કહ્યું હતું કે, રાજ્ય સરકાર કોવિડ-19ના કેસોમાં વધારાની સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે આરોગ્ય અધિકારીઓ, ડોકટરો અને મેડિકલ કોલેજોના ડિરેક્ટરો સાથે રાજ્યમાં કોવિડની સ્થિતિની પણ સમીક્ષા કરી અને જો તે ફેલાતો હોય તો નવા પ્રકારનો સામનો કરવા માટે તૈયાર થવા જણાવ્યું. યાદવે કહ્યું કે, બિહારની હોસ્પિટલો પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, તપાસ અને રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.