વિદેશોમાં નકલી કોવિશીલ્ડ વેક્સિન મળ્યા બાદ WHOએ એલર્ટ જાહેર કરી દીધું છે. જેને લઈને મોદી સરકાર દ્વારા દરેક રાજ્યોને પત્ર લખીને અસલી વેક્સિનની ઓળખ કરવા આદેશ આપવામાં આવ્યા છે.
નકલી વેક્સિનને લઈને મોદી સરકાર એકશન મોડમાં
દરેક રાજ્યોને પત્ર લખીને આપ્યા મહત્વના આદેશ
અસલી વેક્સિનની ઓળખ કરવા માટે આપ્યો આદેશ
કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને પત્ર લખીને કોરોના વેક્સિન લગાવતા પહેલા તેની તપાસ કરવા માટે આદેશ આપ્યા છે કે વેક્સિન અસલી છે કે નકલી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા દરેક રાજ્યોને પત્ર લખીને તેમને સચેત કરવામાં આવ્યા છે.
WHOએ એલર્ટ જાહેર કર્યુ
આ પત્ર લખવા પાછળનું મૂળ કારણ એ છે કે થોડાક દિવસો પહેલાજ સાઉથ ઈસ્ટ એશિયા અને આફ્રિકામાં નકલી કોવિશીલ્ડ મળી હતી. જે મુ્દ્દાને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ધ્યાનમાં લીધો અને સમગ્ર વિશ્વને તેમણે નકલી વેક્સિનને લઈને એલર્ટ કરી દીધું છે. કારણકે કોરોના મહામારી વચ્ચે નકલી વેક્સિન બજારમાં આવે તે આપણા માટે ચીંતાનો વિષય કહી શકાય.
વેક્સિનની ઓળખ કરવા નમૂના મોકલ્યા
મોદી સરકારે અસલી વેક્સિનની ઓળખ કરવા માટે અમુક નમૂનાઓ મોકલ્યા છે. જેને લઈને તે વસ્તુ નક્કી થઈ જશે કે વેક્સિન ખરેખરમાં અસલી છે કે નકલી છે. જે નમૂનાઓ સરકારે મોકલ્યા છે તે વેક્સિન પર લેબલ, તેનો કલર, સાથેજ તેની બ્રાન્ડ કઈ છે તેની ચોક્કસ પણે જાણકારી મેળવી શકાશે.
11 રાજ્યોમાં વેક્સિનને લઈને નવા નિયમો જાહેર
આપને જણાવી દઈએ કે કેન્દ્રએ 11 પૂર્વોત્તર અને પહાડી રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે કોરોના વેક્સિનેશનને લઈને નવા નિયમો જાહેર કર્યા છે. નવા નિયમોમાં ખાસ કરીને 60 વર્ષથી વધારેની ઉંમરના લોકોએ કોરોના વેક્સિન જલ્દી લગાવી જોઈએ તેવા આદેશ કરવામાં આવ્યા છે. બીજી તરફ હજું પણ ઘણા રાજ્યોમાં વેકેસિનેશનની સ્પીડ ઘણી ઓછી છે. જેને લઈને કેન્દ્ર સરકારે પણ અસંતોષ વ્યક્ત કર્યો છે.
ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે. જોકે ત્રીજી લહેરની આશંકાને કારણે સરકાર દ્વારા પણ વેક્સિનેશન પર પૂરતો ભાર આપવામાં આવ્યો છે. જેથી બને તેટલું સંક્રમણ રોકી શકાય અને આ મહામારીમાંથી આપણે બહાર નીકળી શકીએ.