ભારત સરકારે યુવાનોને આગળ વધારવા માટે એક ખાસ યોજના શરૂ કરી છે. આ યોજનાનો હેતુ યુવાનોની પ્રતિભા ઓળખી કાઢી તેમને બિઝનેસ સાથે સંકળાયેલી ટ્રેનિંગ આપવાનો છે કે જેથી તેમને રોજગાર મેળવવામાં મદદરૂપ થઇ શકે. આ યોજના હેઠળ યુવાનોને નોકરી માટે વિનામૂલ્યે ટ્રેનિંગ અપાશે અને ટ્રેનિંગ માટેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.
આ યોજનામાં સરકાર તરફથી રૂ.૮૦૦૦ની રકમ યુવાનોને પુરસ્કારરૂપે અપાશે. કોર્સ પૂરો થયા પર એક સર્ટિફિકેટ અપાશે તે સમગ્ર દેશમાં માન્ય ગણાશે. ભારતમાં સૌથી વધુ વસતી યુવાનોની છે અને દેશની પ્રગતિ યુવાનો પર નિર્ભર કરે છે, કારણ કે યુવાનો પોતાનો વિકાસ કરશે તો દેશનો વિકાસ થઇ શકશે અને તેથી વડા પ્રધાન (કૌશલ વિકાસ યોજના) તૈયાર કરાઇ છે, જેના અંતર્ગત યુવાનોને રોજગાર માટે ખાસ તાલીમ આપવામાં આવશે.
આ યોજના હેઠળ ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક અંતરાલ પર રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હોય છે. તેમાં અપાતી ટ્રેનિંગનું આયોજન સેક્ટર સ્કિલ કાઉન્સિલ દ્વારા કરાય છે. ત્યારબાદ જો ઉમેદવાર તેને પાસ કરી લેશે તો સરકારી પ્રમાણપત્ર અને સ્કિલકાર્ડ અપાશે. તેના આધારે યુવાનને નોકરી મળવામાં સરળતા રહેશે. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનામાં અરજદારે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને આ માટે પોતાનું નામ-સરનામું, ઇ-મેઇલ એડ્રેસ વગેરેની જાણકારી આપવાની હોય છે.
ત્યારબાદ અરજદારે જે ટેકનોલોજિકલ ફિલ્ડમાં ટ્રેનિંગ લેવી હોય તેની પસંદગી કરવાની રહેશે. આ યોજનામાં કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રોનિકસ અને હાર્ડવેર ઉપરાંત ફૂડ પ્રોસેસિંગ, ફર્નિંચર ફિલ્ટિંગ, હેન્ડિક્રાફ્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી અને લેધર ટેકનોલોજી સહિત ૪૦ જેટલા ટેકનિકલ કોર્સ છે, જેમાંથી યુવાને પસંદગી કરવાની રહેશે.