આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા માલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે, જેને લઇને દેશમાં પણ ખાતરોના ભાવમાં વધારાની શક્યતાઓને જોતા કેન્દ્ર સરકારે ખાતર પર સબસિડી વધારી દીધી છે.
કેન્દ્ર સરકારનો વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય
ડી.એ.પી ખાતરની સબસિડીમાં રૂપિયા 850નો વધારો કરાયો
એક બોરી પર 2501 રૂપિયાની સબસિડી અપાશે
સરકાર ખેડૂતોને એક બેગ 1350 રૂપિયા ઉપલબ્ધ કરાવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળની ખરીફ સીઝન-2022 માટે ફોસ્ફેટ અને પોટાસ ખાતરો માટે પોષક તત્વો આધારિત સબસિડી ભાવો સંબંધિત ખાતર વિભાગના પ્રસ્તવાને મંજૂરી આપી દીધી છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલે પ્રધાનમંત્રીનો આભાર માન્યો છે.
ડી.એ.પી ખાતરની સબસિડીમાં રૂપિયા 850નો વધારો કરાયો
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોને સહાયરૂપ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકાર દ્વારા યુરીયા ખાતરના ભાવમાં છેલ્લા કેટલાક વર્ષોથી કોઇ જ વધારો કરવામાં આવેલ નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં ડી.એ.પી અને એન.પી.કે ખાતરના તેમજ તેના કાચા માલમાં છેલ્લાં કેટલાક સમયમાં ઘણો વધારો થયેલ છે. જેના પરિણામે ખાતરની પડતર કિંમતમાં ખુબ વધારો થવા પામ્યો હતો.
એક બોરી પર 2501 રૂપિયાની સબસિડી અપાશે
આ ભાવ વધારાનો બોજ સીધો ખેડૂતો ઉપર ના આવે તે માટે ભારત સરકાર દ્વારા ડી.એ.પી. ખાતરમાં હાલ મળતી સબસિડી રૂ. ૧૬૫૦/- પ્રતિ બેગ હતી, તેમાં વધારો કરી રૂ. ૨૫૦૧/- પ્રતિ બેગ કરવામાં આવેલ છે. આમ, પ્રતિ બેગ રૂ. ૮૫૦/-ની માતબર સબસિડીનો વધારો કરવામાં આવ્યો છે. જેનો લાભ ગુજરાતના ખેડૂતોને પણ થશે.
સરકાર ખેડૂતોને એક બેગ 1350 રૂપિયા ઉપલબ્ધ કરાવશે
કેન્દ્રના નિર્ણય બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે,ખેડૂતોને જૂના ભાવ એટલે 1350 રૂપિયામાં જ DAPની એક બેગ મળશે. જ્યારે સરકાર સબસિડી તરીકે 2501 રૂપિયાનો ખર્ચ ઉઠાવશે. તેમણે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય બાજરોમાં કાચા માલના સંકટના કારણે ખાતરના ભાવોમાં વધારો થયો છે. જેના કારણે DAPની એક બેગ 3851 રૂપિયામાં હોવી જોઈએ, પરંતુ સરકાર ખેડૂતોને એક બેગ 1350 રૂપિયા ઉપલબ્ધ કરાવશે. બાકી 2501 રૂપિયાનો ભાવનો ભાર સબસિડી તરીકે સરકાર આપશે.
ગુજરાતના ખેડૂતોને થશે ફાયદો
આ માટે રાજ્યના ખેડૂતો વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવીયાનો આભાર વ્યકત કર્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં ડીએપી ખાતરનો અંદાજે ૫ લાખ મે.ટન વાર્ષિક વપરાશ થાય છે. જેના કારણે રાજ્યના ખેડૂતોને વધારાની રૂ. ૮૫૦/- કરોડની સબસિડીનો ફાયદો થશે.