ભારત ગામડાઓનો બનેલ દેશ છે અને ગામડાઓમાં વસતા ખેડૂતોને અન્નદાતા કહેવામાં આવે છે ત્યારે મોદી સરકાર આગામી સમયમાં ખેડૂતોને લઈને મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે.
ખેડૂતો માટે મોટો નિર્ણય કરી શકે છે મોદી સરકાર
કિસાન સમ્માન નિધિમાં વધારો કરવા માટે થઈ રહ્યો છે વિચાર
કોઈ અન્ય યોજના લોન્ચ થાય તો પણ નવાઈ નહીં
બીજી તરફ કૃષિ કાયદાને લઈને ખેડૂતોનો વિરોધ યથાવત
ખેડૂતોને ગિફ્ટ આપી શકે છે મોદી સરકાર!
ભારતમાં આશરે એક વર્ષથી ખેડૂતો માટે બનાવવામાં આવેલ કાયદાને લઈને કેટલાક ખેડૂતો સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોરોના વાયરસ મહામારીમાં પણ સરકારની ખૂબ ટીકા થઈ હતી ત્યારે આગામી વર્ષમાં ઉત્તર પ્રદેશ સહિત દેશનાં મોટા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એવામાં મોદી સરકાર આ ચૂંટણી પહેલા મોટા એલાન કરે તેવી શક્યતા છે.
મંત્રાલયમાં હલચલ થઈ ગઈ તેજ
એક અહેવાલ અનુસાર મોદી સરકાર ખેડૂતોનાં હિતમાં મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે, કૃષિ મંત્રાલયમાં આ નિર્ણય માટે જોરશોરથી તૈયારી પણ ચાલુ કરી દેવામાં આવી છે. જોકે શું મોદી સરકાર કોઈ મોટી યોજના લોન્ચ કરશે કે પછી ચાલુ કોઈ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે તેને લઈને હજુ સસ્પેન્સ યથાવત છે. મોદી સરકારની કાર્યશૈલી રહી છે કે મોટા નિર્ણયની જાણકારી પહેલાથી ક્યારેય લીક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
કિસાન સમ્માન નિધિ વધારવા પર વિચાર : રિપોર્ટ
એક રિપોર્ટ અનુસાર મોદી સરકારનું કૃષિ મંત્રાલય ખેડૂતોની આવક વધારવાના સ્ત્રોતને લઈને મોટા પાયે કામ કરી રહ્યું છે. આ સિવાય કિસાન સમ્માન નિધિને લઈને સમીક્ષા કરવામાં આવી રહી છે. દેશમાં કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છે ત્યારે સૂત્રો અનુસાર માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર ખેડૂતોને મળતી રકમને વધારવાનો નિર્ણય કરી શકે તેવી શક્યતા છે. જોકે સરકાર દ્વારા આના પર કોઈ જ પ્રકારે આધિકારિક નિવેદન આપવામાં આવ્યું નથી.