લોકસભા ચૂંટણી પહેલાં સવર્ણ જાતિઓને 10 ટકા અનામતની જાહેરાત બાદ કેન્દ્રની મોદી સરકાર સવર્ણોના વોટ મેળવવા માટે વધુ એક મહત્વની જાહેરાત કરી શકે છે. સૂત્રો અનુસાર ગરીબ વર્ગને અનામત બાદ હવે મોદી સરકાર મધ્યમ વર્ગને આકર્ષવા માટે મોટી જાહેરાત કરી શકે છે. આ માટે ઇન્કમ ટૅક્સમાં મોટી છૂટની જાહેરાતની સાથે સાથે હોમ લોનમાં પણ છૂટ આપવાની તૈયારી ચાલી રહી છે તેમ માહિતી મળી રહી છે.
માહિતી અનુસાર કેન્દ્ર સરકાર આ જાહેરાત વચગાળાના બજેટ 2019માં કરી શકે છે. ઉલ્લેખનીય છે કે લગભગ 3 સપ્તાહ બાદ કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલી વચગાળાનું બજેટ જાહેર કરશે.
સૂત્રો અનુસાર નાણાંમંત્રી ઇન્કમ ટૅક્સની કલમ 80C હેઠળ ટૅક્સ સ્લૅમાં મોટું પરિવર્તન કરવાની જાહેરાત કરી શકે છે. આ સાથે જ કેન્દ્ર સરકાર પેન્શનધારકો માટે વધુ ટૅક્સ છૂટની સાથે સાથે હોમ લોન દરમાં પણ કપાતની જાહેરાત કરી શકે છે.
મહત્વનું છે કે આ ભેટ દ્વારા ઍપ્રિલ-મેમાં થનારી લોકસભા ચૂંટણીમાં સરકાર મધ્યમ વર્ગના વોટ મેળવવાનો પ્રયાસ કરશે. કેટલાંક આર્થિકા સલાહકારોનું માનવું છે કે નાણાંમંત્રી કેટલાંક મહત્વના ઉત્પાદકોની કસ્ટમ ડ્યૂટીમાં પણ ઘટાડો કરી ઉપભોક્તા સહિત ધંધાદારીઓને ફાયદો પહોંચાડીને મહત્વનો નિર્ણય લઈ શકે છે. સૂત્રો અનુસાર નાણાં મંત્રાલયની આ તમામ તૈયારીઓ અંતિમ ચરણોમાં છે.