કેન્દ્ર સરકારે ગંગા નદી પર મહાત્મા ગાંધી સેતુની સમાંતર બનનારા એવા મહાસેતુના પ્રોજેક્ટને લગતા ટેન્ડરને રદ કર્યુ છે. આ પ્રોજેક્ટમાં ચીની કંપનીઓ શામેલ હતી. બિહાર સરકારના ઉચ્ચ સત્તાવાર સૂત્રોએ રવિવારે કહ્યું કે કેન્દ્ર દ્વારા આ ટેન્ડર રદ કરવામાં આવ્યો છે કારણ કે આ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલા ચાર કોન્ટ્રાક્ટરોમાંથી બે ચીની કંપનીઓ હતી.
નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી
આ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલા ચાર કોન્ટ્રાક્ટરોમાંથી બે ચીની કંપનીઓ હતી
મહાસેતુને ગંગા નદી પર મહાત્મા ગાંધી સેતુની સમાંતર બનાવવાનો હતો
સમગ્ર પ્રોજેક્ટ માટે મૂડી ખર્ચ 2,900 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આમાં 5.6 કિ.મી. લાંબી મુખ્ય બ્રિજ, અન્ય ટૂંકા પુલ, અન્ડરપાસ અને રેલ ઓવરપાસનો સમાવેશ થાય છે. એવું મનાઈ રહ્યું છે કે 15 જૂને પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ અને 20 ભારતીય સૈનિકોની શહાદતની પૃષ્ઠભૂમિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધપાત્ર વાત એ છે કે ચીનની સરહદ પરની અથડામણના પગલે ચાઇનીઝ ઉત્પાદનો અને વ્યાપારિક સંસ્થાઓનો બહિષ્કાર કરવાના રાષ્ટ્રવ્યાપી આંદોલનના પગલે અનેક ચાઇનીઝ પ્રોજેક્ટ્સ અને ટેન્ડર રદ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે 16 ડિસેમ્બર 2019 ના રોજ આ મહાસેતુ પ્રોજેક્ટને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
અધિકારીઓએ કહ્યું કે સૂચિત મહાસેતુને ગંગા નદી પર મહાત્મા ગાંધી સેતુની સમાંતર બનાવવાનો હતો. જેનાથી પટણા, સારણ અને વૈશાલી જિલ્લાઓને સુવિધા મળશે. યોજના મુજબ મુખ્ય પુલની સાથે ચાર અંડર પાસ, એક રેલ ઓવર બ્રિજ, 1.58 રૂટ બ્રિજ, ફ્લાયઓવર, ચાર નાના પુલ, પાંચ બસ સ્ટોપ અને 13 રોડ જંકશન બનાવવામાં આવનાર છે. પ્રોજેક્ટ માટે બાંધકામનો સમયગાળો સાડા ત્રણ વર્ષનો હતો અને જાન્યુઆરી 2023 સુધીમાં પૂર્ણ થવાનો હતો.