એક્ઝિટ પોલના તારણ મુજબ દેશમાં ફરી નરેન્દ્ર મોદીની સરકાર રચાઈ રહી છે. આવતીકાલે મહાચુકાદો આવવાનો છે. નરેન્દ્ર મોદી લોકપ્રિય છે, તેમણે લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે તે લોકો માટે કામ કરી રહ્યા છે. સરકાર અને પાર્ટી પર તેમનો કંટ્રોલ છે. તેમનો વિજયરથ સતત આગળ વધી રહ્યો છે. પરંતુ, પ્રધાનમંત્રી મોદી સામે એક એવો પડકાર છે જે 2019નો જંગ જીત્યા બાદ પણ મોદી સામે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. આ પડકાર છે રોજગારીનો. દેશમાં વિશ્વનીય રોજગારી સર્જવાનો પ્રધાનમંત્રી મોદી અને તેમની નવી સરકાર માટે મોટો પડાકર રહેશે.
અનેક વિભાગ છે જ્યાં કર્મચારીઓની ઘટ
અર્થશાસ્ત્રીઓના મતે મોદી સરકાર પોતાના 5 વર્ષના કાર્યકાળમાં જોઈએ તેટલી રોજગારી સર્જવામાં અસફળ રહી છે. ગામથી લઈ શહેર સુધી યુવાનો બેકાર છે. આ મામલે વિપક્ષે પણ અનેક વખત વિરોધ નોંધાવ્યો છે. પરંતુ જોઈએ તેટલી રોજગારીનું સર્જન કરવામાં મોદી સરકારને સફળતા મળી નથી. 2014માં મોદીએ રોજગારીને લઈ જે વાયદો કર્યો હતો તે સો ટકા ચરિતાર્થ થયો નથી. સરકારમાં એવા અનેક વિભાગ છે જ્યાં કર્મચારીઓની ઘટ છે. પરંતુ યોગ્ય ભરતી સરકાર દ્વારા કરવામાં આવી નથી.
દેશમાં બેરોજગારી મોટી સમસ્યા
નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં રોજગારની સ્થિતિ વણસી છે. નોકરી માટે જેટલા લોકો તૈયાર છે તેની સરખામણીમાં રોજગારીની તકો ઓછી ઉભી થઈ છે. જો કે સરકારના ઘણાં લોકોનું માનવું છે કે મોટી સંખ્યામાં લોકો નોકરીના બદલે સ્ટાર્ટઅપમાં રસ ધરાવે છે. આમ છતાં મોટાભાગના આંકડા દર્શાવે છે કે દેશમાં બેરોજગારી મોટી સમસ્યા બની ગઈ છે. આ સમસ્યાનું સમાધાન કરવું મોદી સરકાર માટે એક મોટો પડકાર હશે.
સરકારે આ સમસ્યા સામે આંખ આડા કાન કર્યા
રોજગારીના આંકડાઓ તો સરકાર મોટા મોટા ગણાવે છે પરંતુ આ આંકડા કેટલા સાચા તે એક સવાલ છે. વિપક્ષના આક્ષેપ પ્રમાણે આંકડા પ્રમાણે રોજગારીનું સર્જન થયું નથી. આંકડાઓ અને સાચા અર્થમાં લોકોને મળેલી રોજગારીમાં તફાવત છે. વિશ્વસનીય આંકડાઓના અભાવે મોદી સરકાર રોજગારીની તકો ઉભી કરવાની દિશામાં યોગ્ય પગલાં ન લઈ શકી નથી. અત્યાર સુધી સરકારે આ સમસ્યા સામે આંખ આડા કાન કર્યા છે. પણ 2019માં નવી સરકાર રચાયા બાદ જનતા અને ખાસ કરીને યુવા વર્ગ સરકાર પાસે ખાસ આશા અને અપેક્ષા રાખશે.
કઈ રીતે રોજગારીની વધુ તકો ઉભી કરી શકાય ?
ઉલ્લેખનીય છે કે વધુમાં વધુ રોજગારનું સર્જન કરવું તે નરેન્દ્ર મોદીના ચૂંટણી વચનોમાંથી એક હતું. નવી સરકાર રચાયા બાદ નરેન્દ્ર મોદીએ આના પર જવાબ આપવો પડશે. જો સરકારને જ ખબર નહીં હોય કે બેરોજગારી કેટલી છે. કઈ રીતે રોજગારીની વધુ તકો ઉભી કરી શકાય ? તો જનતા ચોક્કસ મોદી સરકારથી નિરાશ થશે અને તેમના મનમાં ક્યાંક એવો કડવાહટ ઉભો થશે કે અમારો મત વ્યર્થ ગયો. જનતાના વિશ્વાસ પર ખરા ઉતરવાની જવાબદારી હવે નવી સરકારની છે. તેમાંય જે પ્રકારના પરિણામ એક્ઝિટ પોલે આપ્યા છે. તેને માનીએ તો નરેન્દ્ર મોદી અને ભાજપની રહેશે.