દિલ્હી: આગામી લોકસભા ચૂંટણી પહેલા પહેલી ફેબ્રુઆરીના રોજ મોદી સરકાર વચગાળાનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. ત્યારે આ બજેટમાં એવું બધુ જ હશે જેની જનતાને આશા છે. પ્રાપ્ત વિગતો મુજબ મોદી સરકાર જનતા માટે મુખ્ય પાંચ એલાન કરી શકે છે. જોકે હાલ નાણા મંત્રી અરૂણ જેટલી પોતાની તબિયત નાદુરસ્ત હોવાથી સારવાર માટે વિદેશમાં છે. પણ વિદેશથી આવ્યા બાદ તેઓ આ બજેટ રજૂ કરશે.
આ સાથે જ મોદી સરકાર કોઈ પણ ભોગે ખેડૂતોને ખુશ કરવા માગે છે. જેથી સરકાર ખેડૂતોને ખેતી માટે દરેક સીઝનમાં રૂપિયા ચાર હજાર પ્રતિ એકરના દરથી આર્થિક સહાય આપી શકે છે અને આ રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા થાય તેના પર વિચાર કરી રહી છે. દેશમાં આવા લગભગ 21.6 કરોડ નાના અને મધ્યમ ખેડૂતો છે. તો આ સિવાય ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન પર પણ સરકાર વિચારી રહી છે.
તો બીજી તરફ મોદી સરકારે વર્ષ 2022 સુધી સૌ માટે આવાસનું લક્ષ્ય રાખ્યુ છે. જેથી સરકાર હોમ લોન વ્યાજ દરમાં છૂટની સાથે જીએસટી દ્વારા ઘર ખરીદનારા મધ્યમવર્ગના પરિવારોને પણ રાહત આપવા વિચારી રહી છે. જેથી સરકાર અંડર કંસ્ટ્રક્શન ફ્લેટ અને મકાન પર જીએસટી દર પણ ઘટાડી શકે છે. તો ઈન્ક્મટેક્સમાં પણ છૂટ આપવા પર સરકાર વિચારી રહી છે.
આ સાથે જ આવકવેરાની મર્યાદા ત્રણથી પાંચ લાખ રૂપિયા કરી શકે છે. આ સિવાય સરકાર પેન્શનમાં વધારો કરીને વૃદ્ધોને પણ ખુશ કરી શકે છે. જોકે પેન્શનની રકમ કેટલી વધારવી તે અંગે તમામ મંત્રાલયોમાં મંથન ચાલી રહ્યું છે. આ સિવાય સરકાર નાના વેપારીઓની લોન પર પણ વિચાર કરી રહી છે. નાના વેરપારીઓને બે ટકા સુધીની છૂટ મળી શકે છે. આનો ફાયદો માત્ર જીએસટી હેઠળ રજીસ્ટર નાના વેપારીઓને મળશે.