યસ બેન્ક (Yes Bank) ના સંસ્થાપક રાણા કપૂર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)નો સકંજો કસાયા બાદ હવે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ (CBI) એ પણ તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ઈડીનો આરોપ છે કે રાણા કપૂરે કંપનીઓને લોન આપવાના બદલામાં લગભગ રૂપિયા 600 કરોડની લાંચ લીધી હતી. હાલ મુંબઈની એક કોર્ટે તેમને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલી આપ્યા છે.
લંડનમાં બેઠેલા રાણા કપૂરની દરેક હિલચાલ પર સરકારની નજર હતી
આઠ મહિનામાં RBIની ત્રણ અલગ-અલગ રોકાણકારો સાથે વાત થઈ
રાણા કપૂરને હટાવ્યા બાદ સરકારે ડૂબતી યસ બેન્કને બચાવવા માટે એક પ્લાન તૈયાર કર્યો
ગયા વર્ષે જાન્યુઆરીમાં કપૂરને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના આદેશ પર ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (CEO)નું પદ છોડવું પડ્યું હતું. ત્યારબાદ રાણા કપૂર અચાનક લંડન ચાલ્યા ગયા હતા. હવે સૌથી અગત્યનો સવાલ એ ઊભો થાય છે કે જો રાણા કપૂરને ખબર હતી કે યસ બેન્કમાં અનેક પ્રકારનાં કૌભાંડ થયાં છે તો પછી તેઓ ભારત પરત કેમ ફર્યા. તેમને ભારત પરત લાવવાની કામગીરી સરળ નહોતી. મોદી સરકાર અને આરબીઆઈએ તેના માટે પૂરો પ્લાન તૈયાર કરી જાળ બિછાવી હતી.
એક અંગ્રેજી સમાચાર પત્રના દાવા અનુસાર રાણા કપૂરને હટાવ્યા બાદ સરકારે ડૂબતી યસ બેન્કને બચાવવા માટે એક પ્લાન તૈયાર કર્યો હતો. સરકાર ઈચ્છતી હતી કે જનતાનો ભરોસો બેન્ક પર જળવાઈ રહે, જેથી સરકાર અને આરબીઆઈએ નવા રોકાણકારોની શોધખોળ શરૂ કરી દીધી હતી. છેલ્લા આઠ મહિનામાં આરબીઆઈની ત્રણ અલગ-અલગ રોકાણકારો સાથે વાત થઈ, પરંતુ દરેક વખતે છેલ્લી ઘડીએ ડીલ થતાં-થતાં રહી જતી હતી.
એવું જાણવા મળ્યું હતું કે રાણા કપૂર રોકાણકારોને ભડકાવી રહ્યા હતા. કપૂર એવું ઈચ્છતા હતા કે ફરીથી તેમનું બેન્કમાં પુનરાગમન થાય. લંડનમાં બેઠેલા કપૂરના દરેક પગલા પર સરકારની બાજ નજર હતી.
એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ત્યારબાદ મોદી સરકારે રાણાને ભારત પરત લાવવા માટે આખો પ્લાન તૈયાર કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સરકારે રાણાને જણાવ્યું હતું કે તેમને બેન્ક માટે કોઈ નવા રોકાણકાર નથી મળી રહ્યા. એવામાં તેઓ ઈચ્છે તો ભારત પરત આવીને ફરી એક વાર બેન્કનું સુકાન સંભાળી શકે છે. પરંતુ જેવા તેઓ ભારત પરત ફર્યા કે તુરંત તમામ એજન્સીઓએ તેમને ઘેરવાનો પૂરો પ્લાન તૈયાર કરી લીધો હતો. એ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે તેઓ ભારતથી ફરી વાર ભાગી ન શકે.