દેશમાં કેબિનેટ સ્તરના મંત્રીઓમાં મોટા પાયે ફેરફાર થાય તેવી શક્યતાઓ લાગી રહી છે. એવો ગણગણાટ સંભાળવા મળ્યો છે કે ભાજપના ઉચ્ચ સ્તરીય નેતાઓના મંત્રાલયોમાં ફેરફાર થઇ શકે છે ત્યારે જાણીએ કે કયું ખાતું કયા નેતાને સોપાઈ શકે છે.
સિંધિયાને કોમર્સ કે વિદેશમંત્રી બનાવાઇ શકે છે
પિયુષ ગોયલને નાણાં મંત્રાલય મળી શકે છેઃ સૂત્ર
સ્મૃતિ ઇરાનીને વાણિજ્યમંત્રી બનાવાઇ શકે છે
સીતારમણ પાસેથી નાણામંત્રાલય લઇ લેવામાં આવે તેવી શક્યતા
દેશમાં કેબિનેટ સ્તરના મંત્રીઓમાં મોટા પાયે ફેરફાર થાય તેવી શક્યતાઓ લાગી રહી છે. હાલમાં એવા સુત્રોનું માનવામાં આવે તો નાણામંત્રી નિર્મલા સિતારમણનું મંત્રાલયનું ખાતુ બદલાશે તેવા પણ સમાચાર મળ્યા છે. કહેવાય છે કે તેમને મંત્રીમંડળમાંથી બહાર કરીને ફરીથી પક્ષમાં સ્થાન આપવામાં આવશે. તેમના સ્થાને હાલના રેલવેમંત્રી પિયુષ ગોયલને નાણામંત્રી બનાવવામાં આવશે તેવી ચર્ચા છે.
રેલવે મંત્રાલયની કમાન સિંધિયાને સોંપાય તેવી સંભાવના
કોંગ્રેસમાંથી થોડા સમય પહેલા જ કેસરિયા કરેલા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા વિદેશમંત્રાલય અથવા વાણિજ્ય મંત્રાલય માંગી રહ્યા છે તેવું સંભાળવા મળ્યું છે. જો કે પક્ષના હાઈકમાન્ડ દ્વારા તેમને રેલવે મંત્રી બનાવવાની યોજના બનાવી રહ્યા છે તેવી શક્યતા છે.
મુકુલ રોય જેઓ પૂર્વ રેલવે મંત્રી રહી ચુક્યા છે તેઓને કોલસા મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત પૂર્વ અભિનેત્રી અને પક્ષના મજબૂત મહિલા નેતા સ્મૃતિ ઈરાનીને વાણિજ્ય મંત્રાલય આપવામાં આવે તેવી શક્યતાઓ છે.
મંત્રીઓના પર્ફોર્મન્સને જોઈને નિર્ણય લેવાશે
ઉલ્લેખનીય છે કે મોદી સરકારની બીજી ટર્મ બાદ ટૂંક સમયમાં મંત્રીમંડળમાં ફેરફાર કરાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આવામાં સૂત્રો અનુસાર NDA સરકાર આગામી સમયમાં મોદી કેબિનેટમાં મંત્રાલયની કમાન સોંપવામાં ધરખમ બદલાવ જોવા મળી શકે છે. કહેવાય છે કે PM મોદી દરેક વિભાગને અપાયેલા ટાર્ગેટ્સની સામે તેમનું પર્ફોર્મન્સ ચૅક કરશે અને ત્યાર બાદ નિર્ણય લેવાશે. આ નિર્ણયનું કેબિનેટમાં ફેરફાર હશે.
રાજ્યોમાં પણ ભાજપના માળખામાં ફેરફારની તૈયારીઓ
મહત્વનું છે કે ભાજપ હાલમાં પક્ષના માળખાઓમાં પણ ધરખમ ફેરફાર સહિત પ્રદેશ પ્રમુખોની પસંદગી કરવાની પ્રક્રિયામાં છે. આગામી સમયમાં અલગ અલગ રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખના નામ પણ નક્કી કરવામાં આવશે. ગુજરાતમાં પણ આવતીકાલે આ જ મુદ્દે ભાજપની બેઠક છે જેમાં નવા પ્રદેશ પ્રમુખના નામ પર ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે જીતુ વાઘાણીની પ્રમુખ તરીકેની ટર્મ પૂરી થઈ રહી છે.
ભાજપ રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખ, ઉપ પ્રમુખ અને રાજ્ય પ્રભારીઓમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે.