અમદાવાદ: તસ્કરોને પકડનાર પોલીસનો સરસમાન પણ હવે સુરક્ષિત નથી રહ્યો તેવું લાગી રહ્યુ છે કારણકે હવે પોલીસનાં ઘર પણ સુરક્ષિત નથી. રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા પીએસઆઇના બે મોબાઇલ ફોનની ચોરી થઇ છે.
આ ઘટનાની મળતી વિગત પ્રમાણે શહેરના ધમધમતા રહેતા શાહીબાગ પોલીસ સ્ટેશનની પાછળ આવેલ માધુપુરા પોલીસ લાઇનમાં મહિલા PSI રાતે ઉનાળાની ગરમીને કારણે ધાબા પર સુવા ગયા હતા ત્યારે મોડી રાતે કોઇ અજાણ્યા શખ્સે તેમના મોબાઇલ ફોનની ચોરી કરી લીધી હોવાની ઘટના બનવા પામી હતી.
પોલીસ લાઈન પણ હવે સુરક્ષિત નથી...?
માધુપુરા પોલીસ લાઇનમાં રહેતા અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં પારુલબહેન કમાભાઇ મેરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ગુરુવારે રાતે પારુલબહેન ધાબા પર તેમના પરિવાર સાથે સુવા માટે ગયા હતા જ્યાં તેમના બે મોબાઇલ ફોન ઓશિકા નીચે મુક્યા હતા.
જો કે શુક્રવારે વહેલી સવારે પારુલબહેન ઉઠ્યાં ત્યારે બે મોબાઇલ ફોન ગાયબ હતા. આ ચોરીના ફરિયાદ પારુલબહેને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. જેના પગલે પોલીસ પણ અચંબામાં મુકાઇ ગયેલ અને તપાસ હાથ ધરી હતી.