અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષામાં છીંડા સામે આવ્યા છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઇલ મળી આવ્યાં છે. મોબાઇલ ફોન 2 સીમકાર્ડ અને બેટરી મળી આવ્યાં છે. જેલમાં ખુલ્લી જગ્યામાં આ સામગ્રી દાટેલી હતી. નવી જેલમાં સર્કલ યાર્ડ 4/2 પાસે જમીનમાં દાટેલા મળી આવ્યા હતાં. ચેકીંગ દરમ્યાન મોબાઈલ ફોન મળી આવ્યા હતાં. રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે એ પહેલા પણ અવાર-નવાર મોબાઇલ અને સીમકાર્ડ મળ્યા હોવાની ઘટનાઓ વારંવાર બની છે ત્યારે આજે વધુ એક વાર મોબાઇલ ફોન અને 2 સીમકાર્ડ અને બેટરી મળી આવતા જેલ તંત્ર પર અનેક સવાલ ઊભા થયા છે.
જેલના પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઈલ ફોન અને સિમકાર્ડ કોણે ઘુસાડ્યાં? મોબાઈલ ફોનનો અનધિકૃત ઉપયોગ થયો છે કે કેમ? ગુનાઇત પ્રવૃત્તિ કરવામાં આવી છે કે કેમ? વગેરે તપાસ માટે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાય છે અને વધુ તપાસ હાથ ધરાઇ છે.
આપને જણાવી દઇએ કે તમામ કેસમાં તપાસ થાય છે પણ સાબરમતી જેલમાં મોબાઈલ ફોન કઈ રીતે આવે છે? તેની કોઈ જ તપાસ થતી ન હોવાનું બહાર આવ્યું છે. જેલ તંત્રની બેદરકારી મેળ મેળાપીપણાં કે આરોપીઓની આયોજનબદ્ધ ગુનાખોરીથી જ જેલમાં મોબાઈલ ફોન ઘૂસી શકે. આવા સંજોગોમાં રીઢા ગુનેગારો જેલમાં બેઠાં બેઠાં પણ ગુનાનું નેટવર્ક બેરોકટોક ચલાવી શકે છે તે એ તપાસનો વિષય છે.