આજકાલ મોબાઈલ ચોરીની ઘટનાઓ એ સામાન્ય બાબત બની ગઈ છે. જો મુંબઈની વાત કરીએ તો અહીં લોકલ ટ્રેનમાં રોજ 80 લાખ લોકો પ્રવાસ કરે છે. ત્યારે આ લોકલ ટ્રેન મોબાઈલ ચોરનો અડ્ડો બની ગઈ છે. રેલવે પોલીસ દ્વારા એકઠા કરેલા આંકડા અનુસાર મુંબઈની ટ્રેનમાંથી દૈનિક 78 ફોનની ચોરી થઈ રહી છે. પરંતુ ચિંતાજનક વાત એ છે કે, ચોરી થયેલા 78 ફોન માત્ર 8 ફોન જ પરત મળવાની સંભવાના હોય છે. ત્યારે આપના મનમાં એ સવાલ થતો હશે કે, આખરે આ ચોરી થયેલા ફોનનું પછી શું થતું હશે. ત્યારે જાણો ચોરી થયા બાદની ફોનની યાત્રા વિશે...
મોબાઈલ ચોરીના વધ્યા છે બનાવ
ચોરાયેલા મોબાઈલનું શું થાય છે?
કેમ મોબાઈલ પરત મળતા નથી?
આપને જણાવી દઈએ કે, જો ચોરી કરાયેલા ફોનનો IMEI નંબર ન બદલવામાં આવે તો પોલીસ તેને ટ્રેસ કરીને ફોનના માલિકને પરત અપાવી શકે છે. ચોર દ્વારા ભલે પછી તે મહિનાઓ પછી પણ ઓન કરવામાં આવ્યો હોય તો પણ પોલીસને મોબાઈલનું લોકેશન મળી જાય છે. ફોનની ચોરી થયા બાદ અને એફઆઈઆર નોંધવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા તે ફોન ટ્રેકિંગ પર મૂકવામાં આવે છે. પોલીસ આ માટે રાજ્ય બહાર જાવુ પડે તો જાય છે અને બીજા રાજ્યની સ્થાનિક પોલીસ સાથે કો-ઓર્ડિનેટ કરીને ફોનનું પગેરું મેળવી લે છે.
જાણો ચોરી બાદ ફોનનું શું થાય છે ?
ભીડનો ફાયદો ઊઠાવીને ચોર ટ્રેનમાં ચડે છે. ઊતરતી વખતે ખિસ્સામાંથી ચોર મોબાઈલની તફડંચી કરી લે છે. ચોરી કર્યા બાદ તરત જ ફોન સ્વીચ ઓફ કરી દેવામાં આવે છે. ચોરી કરેલો ફોન ચોર ગેંગના જ સ્થાનિક ખરીદદારને વેચી દેવામાં આવે છે. ચોર દ્વારા સસ્તા ફોન લોકલ માર્કેટમાં જ સસ્તાભાવે વેચી નખાય છે. મોંઘા ફોન મોટાભાગે રાજ્યબહાર વેચવામાં આવે છે. આઈફોન જેવા મોંઘા મોબાઈલના પાર્ટ ખોલીને વેચી નાખવામાં આવે છે. રાજ્યબહાર ફોન વેચ્યા પહેલા તેનો IMEI નંબર બદલી નાખવામાં આવે છે. ચોર માત્ર 100 રૂપિયા ખર્ચ કરી IMEI નંબર બદલી નાખે છે. IMEI નંબર બદલાઈ જાય પછી તે ફોન પરત મળવાની કોઈ સંભાવના નથી.
IMEI નંબર બદલાયે ન હોવો જોઈએ
પરંતુ શરત માત્ર એટલી છે કે ફોન ક્યાંક રિસ્ટાર્ટ થવો જોઈએ અને તેનો IMEI નંબર બદલવામાં આવેલો ન હોવો જોઈએ. IMEI નંબર બદલ્યાના કિસ્સામાં ફોન પરત મળવાની સંભાવના રહેતી નથી. જોકે ખૂબ ઓછા મોબાઈલ ટ્રેક કરવામાં સફળતા મળે છે. કેટલાક કિસ્સામાં અસમ, બિહાર, ઝારખંડ અને નેપાળમાં પણ ફોન ટ્રેક થાય છે. આટલા દૂરના અંતરેથી ચોરને પકડવો અને ફોનની રિકવરી કરવી સરળ નથી.
બે વર્ષમાં 32 કરોડ રૂપિયાના મોબાઈલની ચોરી
આપને જણાવી દઈએ કે, મુંબઈમાં ઉપનગરોના સ્ટેશન વિસ્તારમાંથી ફોન ચોરીની રોજ સરેરાશ 78 ઘટનાઓ બને છે. મોબાઈલ ચોરીની આ ઘટનાને જો અર્થતંત્રની દ્રષ્ટીએ સમજવામાં આવે તો રોજ સરેરાશ 8 લાખ રૂપિયાના મોબાઈલ ફોનની ચોરી થાય છે પરંતુ રિકવરી માત્ર 10 ટકાની જ છે. મુંબઈના રેલવે સ્ટેશનો પરથી છેલ્લા બે વર્ષમાં 32 કરોડ રૂપિયાના મોબાઈલની ચોરી થઈ ચૂકી છે. છેલ્લાં બે વર્ષમાં કુર્લા રેલેવ પોલીસ સ્ટેશને મોબાઈલ ચોરીના 7,704 કેસ નોંધાયા છે. જ્યારે ઠાણે રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં 6,935 કેસ નોંધાઈ ચૂક્યા છે.