હવાઈ મુસાફરી દરમિયાન સ્માર્ટફોનનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ઘણા લોકોને આ વાત બહુ ખરાબ પણ લાગે છે. સરકાર નજીકના ભવિષ્યમાં પ્લેનમાં વાઈ-ફાઈની સુવિધા આપવા પર વિચારણા કરી રહી છે.
પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારું મોબાઈલ નેટવર્ક (સિગ્નલ) પ્લેન ક્રેશ થવાનું કારણ બની શકે છે. વર્ષ 2014માં અમેરિકન અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે, મોબાઈલ સિગ્નલ અને કેટલાક રેડિયો સિગ્નલના કારણે વિમાન દુર્ઘટના સર્જાઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, બોઈંગ 737 અને બોઈંગ 777 જેવા પ્લેન માટે તો મોબાઈલ સિગ્નલ સૌથી મોટા ખતરા સમાન છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર, અમેરિકામાં રજિસ્ટર્ડ 1,300થી વધારે જેટ પ્લેનની કૉકપિટ એવી સ્ક્રીનથી સજ્જ છે, જે હવામાનના રડાર, વાઈ-ફાઈ, મોબાઈલ ફોન સિગ્નલ જેવી ફ્રિકવન્સીને પકડી શકે છે.
પોતાના વિમાનોમાંઆ પ્રકારની સ્ક્રીનનો ઉપયોગ કરી રહેલી એરલાઈન્સ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓ નવેમ્બર, 2019 સુધીમાં પ્લેનમાં લગાવવામાં આવેલી આ સ્ક્રીનને બદલી નાંખે.
ઉલ્લેખનીય છે કે, આ સ્ક્રીનને હનીવેલ ઈન્ટરનેશનલ ઈન્ક દ્વારા તૈયાર કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, આજે સમગ્ર દુનિયામાં અસુરક્ષિત રડાર સિસ્ટમ સાથે હજારો પ્લેન ઉડી રહ્યા છે. અસુરક્ષિત રડાર સિસ્ટમ સાથે ઉડતા પ્લેનની એરસ્પીડ, ઊંચાઈ અને નેવિગેશન સહિત અગત્યનો તમામ ડેટા કોઈ પણ સમયે ગાયબ થઈ શકે છે. આ ઉપરાંત
એરોપ્લેન સાથેનો સંપર્ક તૂટવાનો ખતરો પણ છે.
હનીવેલ કંપનીનો દાવો છે કે, રેડિયો ફ્રિકવન્સી અને મોબાઈલ સિગ્નલના કારણે કોઈ પ્લેનની મુખ્ય ડિસ્પ્લે સ્ક્રીન બ્લેન્ક થઈ શકે નહીં. બીજી તરફ અનેક એરલાઈન્સ એવો દાવો કરી ચૂકી છે કે, રેડિયો અને મોબાઈલ સિગ્નલના કારણે પ્લેન ક્રેશ થવાની ઘટના બને છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પણ આ દાવાની પુષ્ટિ કરી છે.