મોબાઈલ શાપ કે અભિશાપ આ એક મોટો ચર્ચાનો મુદ્દો રહ્યો છે. કારણ કે, ટેક્નોલોજી યુગમાં બાળકના વિકાસ માટે જે મોબાઈલ ઉપયોગી છે. તે આજે બાળકો અને યુવાનોનો જ દુશ્મન પણ બની ગયો છે.
મોબાઈલનો ઉપયોગ બન્યો માનસિક રોગ!
બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ
યુવાનોએ મોબાઈલનો ઉપયોગ ઘટાડવો જોઈએ
એવો નશો... જે કોઈની પણ હત્યા કરાવી શકે છે. કોઈને આત્મહત્યા માટે પ્રેરિત કરી શકે છે. ઉદાહરણ આપવા જવાની જરૂર નથી. કારણ કે તાજેતરના જ બે કિસ્સા આપણી સામે છે. જેમાં પહેલો કિસ્સો સુરતનો ગ્રીષ્મા હત્યાનો છે. જેમાં હત્યારો ફેનિલે ક્રાઇમને લગતી વેબસિરીઝ જોઈને તે પ્રકારની માનસિકતા વાળો થઇ ગયો હોવાનું કોર્ટે નોંધ્યું છે. જ્યારે બીજો કિસ્સો વડોદરાનો છે. જેમાં માતાએ વિદ્યાર્થીનીને ફોનમાં ગેમ રમવાની ના પાડી તો તેણે આત્મહત્યા કરી લીધી. આજે મોબાઈલના કારણે યુવાનો હત્યા, આત્મહત્યા અને માનસિક બીમારીઓનો શિકાર બન્યા છે.
બાળકોને મોબાઈલથી દૂર રાખવા જોઈએ
એવું કહેવાય છે કે, "અતિ સર્વત્ર વર્જયતે" કોઈપણ વસ્તુનો અતિશય ઉપયોગ નુકસાનકારક નીવડે છે. વાક્ય સમજાવે છે કે સ્માર્ટફોનનો ઉપયોગ યોગ્ય રીતે ન કરીએ તો તે ઝેર સમાન છે. હાલ તમામ લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. આજુબાજુમાં બેસેલા લોકો પણ એકબીજા સાથે વાત કરવાને બદલે મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે. આ બાબત દર્શાવે છે કે વ્યક્તિ એકલતાપણું નથી લાગી રહ્યું. પરંતુ તેને મોબાઈલની લત લાગી છે. એવી લત જે તેને અંદરથી ખોખલા કરી રહી છે.
થોડા સમય પહેલા પબજી નામની ગેમ આપણે ત્યાં ખુબ પ્રચલિત બની હતી. આ ગેમે યુવાનોને એટલા સાયકો બનાવી દીધા હતા. કે, મોબાઈલ ન મળતા આત્મ હત્યા કરી લેતા હતા. જોકે સરકારે પબજી પર પ્રતિબંધ મુક્યો. પરંતુ કોરોના કાળે દરેક બાળકના હાથમાં મોબાઈલ પકડાવી દીધો. બાળકો એટલા અંદર સુધી ઘુસી ગયાં કે, મા-બાપ કાંઈ કહે એટલે આત્મહત્યાની ધકમી આપે છે. તાજેતરમાં જ કેટલાક કિસ્સાઓમાં મોબાઈલ ન આપતા ખોટું લગાડી બાળકે આત્મહત્યા કર્યાના કિસ્સા પણ સામે આવ્યા છે.
મોબાઇલનો વધુ પડતો ઉપયોગ ભયંકર નુકસાનકારક
નિષ્ણાંતોના મતે વધુ પડતા મોબાઈલના ઉપયોગના કારણે હતાશા, મનોભાર, વિષાદ અને ચિંતાનું પ્રમાણ વધે છે. આ સાથે જ બાળકો અને યુવાનોમાં અનિંદ્રા, ગુસ્સો, વિચારવાની ક્ષમતાને નુકસાનની ભીતિ રહે છે. આ સ્થિતિ વાલીઓ માટે પણ ચિંતાજનક બાબત બનતી હોય છે.
હવે બહેરાશના દરરોજ 10 કેસ નોંધાઇ છેઃ ડૉક્ટર
મોબાઈલ લોકોના જીવનમાં કેટલી હદે ઘર કરી ગયો છે તેનું સૌથી મોટું ઉદાહણ સોલા સિવિલ હોસ્પિટલમાં વધી રહેલા બહેરાશના કેસો સંખ્યા છે. ડોક્ટરોના મતે સિવિલ હોસ્પિટલમાં પહેલા દર મહિને 1 કેસ બહેરાશનો આવતો હતો. જ્યારે હવે પ્રતિદિન 10 કેસ નોંધાઈ રહ્યા છે. આ પાછળનું કારણ પણ વધુ પડતો મોબાઈલનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે.
અહીં અમે ટેક્નોલોજીના ઉપયોગનો વિરોધ નથી કરી રહ્યા પરંતુ વધુ પડતા મોબાઈલના ઉપયોગના કારણે યુવાનોનું જે રીતે જીવન બર્બાદ થઈ રહ્યું છે તેને લઈને સચેત કરી રહ્યા છીએ. તેવામાં દરેક માતા-પિતા માટે જરૂરી બને છે કે તેઓ તેમના બાળકો મોબાઈલનો કેટલો ઉપયોગ કરે છે? કેવો ઉપયોગ કરે છે અને કયા કારણોસર કરે છે એની નોંધ લે. કેવી રીતના મોબાઇલના વપરાશના કલાકોમાં ઘટાડો લાવી શકે તેના માટે પ્રયત્નશીલ બને.