મોરબીઃ મોરબી જિલ્લાને હચમચાવી નખનાર 20 કરોડના નાની સિંચાઈ યોજનામાં તપાસનીશ એ-ડિવિઝન પોલીસ દ્વારા હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને તેમના નજીકના સાથીદારને એ-ડિવિઝન પોલીસ મથકે લાવી પૂછપરછ શરૂ કરતાં સનસનાટી મચી ગઇ છે. પોલીસ વડાના જણાવ્યા અનુસાર ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને તેમના વકીલની ધરપકડ કરાઇ છે.
મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના અંતર્ગત હળવદ માળીયા મોરબી સહિતના તાલુકાઓમાં તળાવ ઊંડા ઉતારવા અને તળાવના રીનોવેશન કરવાના નામે મોરબી જિલ્લાના તત્કાલીન કાર્યપાલક ઈજનેર અને તેના મળતિયા કન્સલ્ટિંગ એજન્સીના માલીક દ્વારા ખોટા અંદાજો અને નકશા બનાવી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો.
આ મામલે કાર્યપાલક ઈજનેર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા એ-ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. ચાર આરોપીઓને ઝડપી લઈ કૌભાંડના મૂળ સુધી પહોંચવા ૧૨થી વધુ ગામોમાં સ્થળ તપાસ પણ કરી હતી. જેમાં હળવદના ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને તેમના નજીકના સાથીદારને મોરબી લાવી પૂછપરછ કરવામાં આવી છે.
SP કરણરાજ વાઘેલાની પ્રતિક્રિયા
નાની સિંચાઇ યોજનામાં ભ્રષ્ટાચારનો મામલે મોરબી જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે 2017-18માં નાની સિંચાઈ યોજનામાં અનેક ગેરરીતિઓ સામે આવી. 46 કામોમાંથી ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. થોડાક સમય પહેલા 4 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. ભ્રષ્ટાચાર બાદ લાંચ આપવામાં આવી હતી. એન્જીનિયરોને લાંચ આપવામાં આવી હતી. ધારાસભ્ય પરસોતમ સાબરીયાની ધરપકડ કરાઇ છે.
સાથોસાથ પરસોતમ સાબરીયાના વકીલ ભરત ગણેશિયાની પણ ધરપકડ કરાઇ છે. આવતીકાલે બંને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ ભ્રષ્ટાચારમાં અનેક મંડળીઓ સામેલ છે. તપાસ દરમિયાન સમગ્ર હકીકત સામે આવશે.
મોરબીના 5 ગામોમાં ભ્રષ્ટાચાર સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લાનાં કરોડો રૂપિયાના નાની સિંચાઈ યોજનાના તળાવ કૌભાંડમાં અનેક મોટાગજાના રાજકારણીઓના નામ પણ ઉછળી રહ્યા છે. રાજકીય પક્ષના સંગઠનના હોદેદારોની પણ સંડોવણી આ પ્રકરણમાં ખુલે તેવી દહેશત વચ્ચે હળવદ ધારાસભ્ય પોલીસના મહેમાન બનતા ખળભળાટ મચી ગયો છે.