આદિવાસી દિવસ નિમિત્તે વાઘોડિયાની બજારમાં તીરકામઠા સાથે નૃત્ય કરતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો વીડિયો વાયરલ થયો છે.
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કરી આદિવાસી દિવસની ઉજવણી
વાઘોડિયાની મુખ્ય બજારમાં તીરકામઠા સાથે મધુ શ્રીવાસ્તવે કર્યું આદિવાસી નૃત્ય
નૃત્યનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
પોતાના વાણી-વર્તનને કારણે હંમેશા ચર્ચામાં રહેતા વડોદરા જિલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ આદિવાસી દિવસની ઉજવણીમાં જોડાયા હતા. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આદિવાસી દિવસ નિમિત્તે ટીમલીના તાલે નૃત્ય કરી આનંદભેર ઉજવણી કરી હતી. આ અવસરે વાઘોડિયાની મુખ્ય બજારમાં તીરકામઠા સાથે મધુ શ્રીવાસ્તવે આદિવાસી નૃત્ય પણ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. હાથમાં તીરકામઠું પકડી નૃત્ય કરતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે. જુઑ વીડિયો...
વલસાડ, નવસારી, અરવલ્લીમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો
આજે ગુજરાત સહીત દેશભરમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના વલસાડ, નવસારી, અરવલ્લી અને પાલનપુરમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો હતો. જેમાં ગૌરવયાત્રા, રેલી, નૃત્ય સહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં રાજ્યના નર્મદા જળસંપત્તિ અને કલ્પસર મંત્રી જીતુ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બનાસકાંઠાના પાલનરપુરમાં આદિવાસી સમાજે રેલી યોજી અને પારંપારિક વસ્ત્રોમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. સાથે નવસારીના વાંસદામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. ઉપરાંત અરવલ્લી જિલ્લાના ભિલોડાના શામળાજી ખાતે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.