ભાજપના નેતાઓ મારા વિસ્તારમાં ખોટો પ્રચાર કરે છે: વસોયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના નગારા વાગતાની સાથે જ રાજકીય પક્ષો મહેનત અને મંથનમાં લાગી ગયા છે. દરેક પક્ષો સક્ષમ ઉમેદવારોની આકરણી કરવામા જોતરાયા છે. મતદારોને રિઝવી બુલંદ જીત હાંસલ કરવા રાજકીય પક્ષો એકપછી એક દાવ રમી રહ્યા છે. જેના ભાગ રૂપે પક્ષ પલટાની મોસમ પણ મોટા પાયે ખીલી રહી છે. તેવામા MLA લલિત વસોયા પણ ભાજપમાં જોડાઈ તેવો અંદરખાને ગણગણાટ ફેલાઈ રહ્યો છે આ મામલે લલિત વસોયાએ સ્પષ્ટતા કરી છે અને ભાજપમાં જોડાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે.
2022 ચૂંટણીમાં ધોરાજી-ઉપલેટામાં ભાજપ જીતી શકે તેમ નથી
વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાના રાજીનામાના રુપમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો પડ્યો છે. કારણ કે, વિસાવદર સીટએ કોંગ્રેસની સેફ સીટમાની એક હતી. હવે જ્યારે હર્ષદ રિબડિયાએ રાજીનામું ધર્યું છે. ત્યારે આ સીટ જીતવી કોંગ્રેસ માંટે 'લોઢાના ચણા ચાવવા' સમાન બની જશે. આ સીટ પર સત્તાએ કોંગ્રેસ માટે સપનું બની જાય તો પણ નવાઈ નહિ! હર્ષદ રિબડિયાના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ ચુંટણી માથે છે ત્યારે કોંગ્રેસની મધદરીએ હાલકડોલક થતી નાવને લઇને ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા પણ ભાજપમાં જોડાઈ તેવી વાતો સામે આવી હતી. તેઓ ભાજપના નેતાઓ સાથે જાહેર કાર્યક્રમમાં આવતા આ ચર્ચા શરૂ થઈ હતી.
વસોયાએ ભાજપમાં જોડાવવાની તમામ વાતોને ફગાવી
ધોરાજીમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં જયેશ રાદડિયા સાથે એક મંચ પર લલિત વસોયા જોવા મળ્યા હતા. અને સી.આર.પાટીલ સાથે પણ વસોયાની મુલાકાત થઈ હોવાની ચર્ચા જાગી હતી. ત્યારબાદ ભાજપના જોડાવવાની ચર્ચાઓ મુદ્દે લલિત વસોયા VTV ન્યૂઝ સાથે વાત કરી હતી અને ભાજપમાં જોડાવવાની તમામ વાતોને ફગાવી દીધી હતી.
ભાજપના નેતાઓ મારા વિસ્તારમાં ખોટો પ્રચાર કરે છે : વસોયા
ધારાસભ્ય હર્ષદ રીબડીયા ભાજપમાં જોડાયાએ દુઃખદ વાત હોવાનું જણાવી લલિત વસોયાએ ઉમેર્યું હતું કે, 2022 ચૂંટણીમાં ધોરાજી-ઉપલેટામાં ભાજપ જીતી શકે તેમ નથી. જેને લઇને ભાજપના નેતાઓ મારા વિસ્તારમાં ખોટો પ્રચાર કરે છે અને મારા વિસ્તારના લોકોને ભાજપ ગુમરાહ કરવાનું કામ કરતું હોવાનો પણ લલિત વસોયાએ આક્ષેપ કર્યો હતો. વધુમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું મોટાભાગનું કામ હું અને લલિત કગથરા સંભાળી રહ્યા છીએ અને 2022 માં કોંગ્રસ ટિકિટ ન આપે એ સવાલ જ ઊભો થતો નથી. તેમ અંતમા લલિત વસોયાએ જણાવ્યું હતું.
ભાજપની રડારમાં અગાઉ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના 6 MLA હતા
નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા તડજોડની રાજનીતિ સક્રિય થઈ ગઇ છે. કોઈ ભાજપ સાથે છેડો ફાડી રહ્યું છે તો કોઈ કોંગ્રેસનો હાથ છોડવા તૈયાર બેઠું છે. ત્યારે તમને જણાવી દઇએ કે, ભાજપની રડારમાં અગાઉ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના 6 MLA હતા. જેમાં કોંગ્રેસના 6 જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાઇ શકે તેવી શક્યતા હતી. જેમાં જામજોધપુરના ચિરાગ કાલરીયા, જંબુસરના સંજયભાઈ સોલંકી, પાલનપુરના મહેશ પટેલ, જાલોદના ભાવેશ કટારા, ધોરાજીના લલિત વસોયા અને વિસાવદરના હર્ષદ રિબડીયા સામેલ હતા. જેમાંથી કોંગ્રેસના વિસાવદરના MLA પદેથી હર્ષદ રિબડીયાએ રાજીનામું ધરી દીધું છે.