સુરતના વરાછામાં ખાડીની સફાઇ મુદ્દે હવે ધારાસભ્ય કુમાર કાનાણી લડી લેવાના મૂડમાં, લોકોની સાથે આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી.
કુમાર કાનાણી લડી લેવાના મૂડમાં
ખાડીની સફાઈ મુદ્દે આંદોલનની ચીમકી
અનેક રજૂઆત છતાં ઉકેલ નહીં
સુરત મહાનગરપાલિકા ખાતે ગઈકાલે મળેલી ધારાસભ્ય-સાંસદની સંકલન બેઠકમાં વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વરાછા ખાડીની સફાઇના મુદ્દે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે બેઠકમાં હાજર અધિકારીઓનો ઉધડો લીધો હતો. બેઠકમાં કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, પાંચ વર્ષથી સતત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઇ નક્કર કામગીરી થતી નથી. હવે લોકોની ધીરજ ખૂટી ગઇ છે અને ખાડીની સફાઇના મુદ્દે નક્કર અને કાયમી કામગીરી કરવામાં નહીં આવે તો અસરગ્રસ્ત લોકો સાથે આંદોલન કરવામાં આવશે.
વર્ષોથી કરતો આવ્યો છું રજૂઆતઃ કુમાર કાનાણી
આ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ VTV NEWS સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'આ મારા વિસ્તારનો વર્ષો જૂનો ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. વર્ષોથી આ પ્રશ્નના મુદ્દાને લઈને હું રજૂઆતો કરતો આવ્યો છું. મેં આ સમસ્યાને હલ કરવા માટેના પ્રયાસો અને રજૂઆત કરી છે. અનેક વખત મેં વહીવટી તંત્રને આ અંગે લેખિત અને મૌખિક રજૂઆત કરી છે. એટલા માટે ફરીવાર ગઈકાલે યોજાયેલી સંકલનની બેઠકમાં મેં આ મુદ્દો હાથ પર લીધો હતો. જ્યાં સુધી મારા વિસ્તારની અંદર ખાડીની સમસ્યાનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી હું લડાઈ લડતો રહીશ. આ મુદ્દા પર હું અવાજ ઉઠાવતો રહીશ.'
સોસાયટીના રહીશો પરેશાન
આંદોલન અંગે ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે, 'ખાડી વિસ્તારની સોસાયટીના રહીશો ગંદકીના સામ્રાજ્યથી હેરાન પરેશાન છે. સ્થાનિકોએ અનેકવાર ગંદકી, રોગચાળા મુદ્દે રજૂઆત કરી છે. હમણા થોડા દિવસ અગાઉ સોસાયટીના લોકો મેયર પાસે પણ ગયા હતા. મ્યુ.કમિશનરને પણ આવેદન પત્ર આપ્યું હતું. લોકો મને કહે છે કે જો સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે આંદોલન કરીશું. જો મારા વિસ્તારના લોકો જો આંદોલન કરે તો એક પ્રતિનિધિ તરીકે મારે પણ તેમાં જોડાવું પડે. એટલા માટે મેં કમિશનરને કહ્યું છે કે લોકો જન આંદોલન કરશે તો મારે આંદોલનમાં જોડાવું પડશે.'
કુમાર કાનાણી લખ્યો હતો પત્ર
એક તરફ સુરત શહેરે સતત ત્રીજા વર્ષે ક્લીન સિટીનો એવોર્ડ જીત્યો છે તો બીજી તરફ વરાછાના ખાડી વિસ્તારની અસંખ્ય સોસાટીઓ ગંદકીનું સામ્રાજ્ય બની ગઈ છે. લોકો ગંદકી, દુર્ગંધ અને મચ્છરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે. વર્ષોથી અનેક રજૂઆત કરવા છતાં તેમની સમસ્યાઓનું કોઈ નિવારણ આવ્યું નથી. જેથી સ્થાનિકો દ્વારા વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીને રજૂઆત કરવામાં આવતા તેમણે તંત્રને ખુલ્લો પત્ર લખી આંદોલનની ચીમકી આપી હતી.
લોકો ગંદકી અને દુર્ગંધના ત્રાસથી પોકારી ગયા છે ત્રાહિમામઃ કુમાર કાનાણી
ધારાસભ્ય કાનાણીએ સુરત મહાનગરપાલિકાના કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, મારા વિસ્તારમાં આવેલ ખાડીના કિનારા પર અસંખ્ય સોસાયટીના લોકો મચ્છર, ગંદકી તેમજ દુર્ગંધના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે, વર્ષોથી આ પ્રશ્ન બાબતે વારંવાર રજૂઆતો કરતા આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરીનો રિપોર્ટ પણ આપવામાં આવતો નથી
લોકોએ જન આંદોલન કરવાની આપી છે ધમકીઃ કાનાણી
પત્રમાં લખ્યું હતું કે, કામની સમીક્ષા પણ કરવામાં આવતી નથી અને મને ફોન પર ફક્ત જવાબ આપી દેવામાં આવે છે કે કામ ચાલું છે, થઈ જશે. પરંતુ કામ થતું નથી અને લોકો કંટાળી ગયા છે. અસંખ્ય સોસાયટીના લોકો દ્વારા મારી પાસે આવી આ પ્રશ્ન હલ કરવાની રજૂઆત કરેલ છે અને જો પ્રશ્ન હલ ન થાય તો જન આંદોલન કરવાની પણ ધમકી આપેલ છે. તો આ પ્રશ્ન તાત્કાલિક હલ કરવા મારી માંગણી છે. ભાજપના ધારાસભ્યએ તંત્ર સામે આંદોલનની ચીમકી આપતા પત્રમાં લખ્યું હતું કે, જો લોકો જન આંદોલન કરશે તો ના છૂટકે મારે પણ આ જન આંદોલનમાં જોડાવું પડશે તેની ખાસ નોંધ લેશો.
કાનાણીએ કેમ આપી આંદોલનની ચીમકી?
- સુરતમાં વર્ષોથી ખાડી વિસ્તારની સમસ્યાનો પ્રશ્ન ગંભીર
- છેલ્લા 5 વર્ષથી મનપામાં સતત રજૂઆતો કરવામાં આવી
- જ્યાં સુધી ખાડીની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી લડત લડીશ
- ખાડી વિસ્તારની સોસાયટીના રહીશો ગંદકીના સામ્રાજ્યથી હેરાન
- સ્થાનિકોએ પણ અનેકવાર ગંદકી, રોગચાળા મુદ્દે રજૂઆત કરી છે
- મેયરને રજૂઆત કરી, કમિશનરને પણ આવેદનપત્ર આપ્યો છે
- પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં આવે તો રહીશો દ્વારા આંદોલનની ચીમકી
- મારા વિસ્તારના લોકો આંદોલન કરે તો ધારસભ્ય તરીકે આંદોલનમાં જોડાઈશ
- વહેલીતકે યોગ્ય કામગીરી માટે રજૂઆતો કરી છે
- રહીશોની સ્પષ્ટ ચીમકી છે કે હવે આંદોલન કરીશું
- સોસાયટીઓ દ્વારા મિટિંગો કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ
- આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવો પ્રયાસ
- સ્થાનિકોએ આંદોલનનું મન બનાવી લેતા કમિશનરને રજૂઆત
- લોકો આંદોલન કરશે તો પ્રતિનિધિ તરીકે જોડાવાનો નિર્ણય