બસ ઓપરેટરોના વિરોધ બાદ વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, બસ એસોસિએશનનો ઈરાદો લોકોને હેરાન કરવાનો છે. મેં માત્ર લોકોની માંગણી અને લોકોના પ્રશ્ન પોલીસને પહોંચાડ્યો હતો.
કુમાર કાનાણી અને બસ ઓપરેટરો આમને-સામને
સમગ્ર વિવાદ મુદ્દે કુમાર કાનાણીનું નિવેદન આવ્યું સામે
બસ સંચાલકોનો નિર્ણય ગેરવ્યજબીઃ MLA કાનાણી
સુરતના વરાછાના ધારાસભ્ય અને ખાનગી બસ ઓપરેટરો આમને-સામને આવી ગયા છે. કુમાર કાનાણી સામે ખાનગી બસ ઓપરેટરો વિરોધ નોંધાવી રહ્યા છે. ખાનગી બસ એસોસિએશન દ્વારા ધારાસભ્યના પત્ર બાદ બસને વાલક પાટિયા પાસે જ ઉભી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાનગી બસ એસોસિએશનના આ નિર્ણયને કારણે ઘણા મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારા આવ્યો છે. આ સમગ્ર વિવાદ પર વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન સામે આવ્યું છે.
કુમાર કાનાણીએ પૂછ્યું- મેં આમાં ખોટું શું કર્યું છે?
કુમાર કાનાણીએ જણાવ્યું છે કે, મેં કમિશનરના જાહેરનામાનો અમલ કરવાની વાત કરી હતીં એમાં મેં ખોટું શું કર્યું છે? શહેરમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે પોલીસ જાહેરનામા બહાર પાડતી હોય છે. તો જાહેરનામાનો અમલ થાય એ અંગે મેં વાત કરી હતી એમાં મેં ખોટું શું કર્યું છે. મને એ વાત નથી સમજાતી કે બસ એસોસિએશનને જાહેરનામાનો અમલ કરવામાં તકલીફ શું છે? શા માટે મુસાફરોને વાલક પાટિયા પાસે ઉતારી દેવામાં આવ્યા?
...તો ભાડામાં રૂ.200નો ઘટાડો કરવામાં આવેઃ ધારાસભ્ય કાનાણી
તેઓએ જણાવ્યું કે, બસ એસોસિએશનના પ્રમુખ લોકોને હેરાન કરી પરેશાન કરી અને પોતાની મનમાની કરીને બસ ચલાવી છે. તેમને મુસાફરોને વાલક પાટીયા પાસે ઉતારવા હોય તો ઉતારે પરંતુ ભાડામાં રૂ.200નો ઘટાડો કરવામાં આવે. જો તેઓ સિટીમાં બસ ન લાવવા માંગતા હોય તો ભાડામાં 200 રૂપિયા ઘટાડી દે. આ સાથે જ તેમણે લોકોને ધીરજ રાખવાની અપીલ કરી છે.
મેં માત્ર લોકોની માંગણી અને લોકોના પ્રશ્ન પોલીસને પહોંચાડ્યો કાનાણી
તેઓએ જણાવ્યું કે, બસ સંચાલકોનો આ નિર્ણય ગેરવ્યાજબી છે. ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળે એનું ધ્યાન રાખવું જોઈએ. લોકો હેરાન થઈ રહ્યા છે એ માટે BRTS શરૂ કરવા સૂચના આપી છે. લોકોની સામે દાદાગીરી કરવા માટે આ બસ ચાલકોની આડોડાઈ છે. મેં માત્ર લોકોની માંગણી અને લોકોના પ્રશ્ન પોલીસને પહોંચાડ્યો હતો.
શું છે સમગ્ર મામલો?
સુરતના વરછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ થોડા દિવસ અગાઉ ભારે વાહનોને લઈ ટ્રાફિક DCPને પત્ર લખ્યો હતો. તેમણે પત્રમાં લખ્યું હતું કે, સુરત શહેરમાં પોલીસ કમિશરના જાહેરનામાં મુજબ લક્ઝરી બસો માટે સવારે 7થી રાત્રીના 10 વાગ્યા સુધી તેમજ અન્ય ભારે વાહનો માટે સવારે 8થી બપોરે 1 વાગ્યા તથા સાંજે 5થી રાત્રીના 10 વાગ્યા સુધી પ્રતિબંધિત સમયમાં વાહનો ન પ્રવેશવા દેવા માટે જાહેરનામું છે, પરંતુ આ પ્રતિબંધિત સમયની અંદર જાહેરનામાનો ભંગ કરી કોઈપણ ડર વગર બેફામ વાહનો ચાલે છે અને ટ્રાફિકની સમસ્યામાં અસહ્ય વધારો કરે છે.
તેમણે એમ પણ લખ્યું હતું કે, આવા વાહનો સામે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, તો આવા વાહનોને પ્રતિબંધિત સમયની અંદર પ્રવેશવા ન દેવા માટેની સખત કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તેનું કારણ મને લેખિતમાં 7 દિવસમાં જણાવશો.
પોલીસે ફટકાર્યો હતો દંડ
સુરતમાં ટ્રાફિકને લઈ ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પ્રતિબંધિત સમયમાં પ્રવેશતા વાહનોને ઝડપી કાર્યવાહી કરી હતી. પ્રતિબંધિત સમયમાં શહેરમાં પ્રવેશી રહેલા ભારે વાહનો અને લક્ઝરી બસને રોકીને પોલીસે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ જાહેરનામાંનો ભંગ કરનારા વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો.
બસ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો
ધારાસભ્ય કુમાર કાનાણીની ફરિયાદ બાદ હવે ખાનગી બસ એસોસિએશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી એક પણ ખાનગી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં. તમામ બસ સુરતની બહાર વાલક પાટિયાથી ઉપડશે. શહેરના મુસાફરોએ વાલક પાટિયા પહોંચવું પડશે. જાહેરનામાની સમય અવધિમાં પણ ખાનગી બસ પ્રવેશ કરશે છે.
મુસાફરોને ભારે હાલાકી
સુરત ખાનગી બસ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, આજથી એક પણ ખાનગી બસ સુરત શહેરમાં પ્રવેશ કરશે નહીં. અંદાજે 450થી વધુ બસો સુરત શહેર હદ વિસ્તારની બહાર વાલક પાટિયા પાસેથી જ ભરાશે. મુસાફરોને વાલક પાટિયા પાસે જ ઉતારવામાં આવશે. આજે પહેલા જ દિવસે સૌરાષ્ટ્ર, ઉ.ગુજરાતથી આવતી બસો વાલક પાટિયા અટકાવી દેવામાં આવી હતી. બસોમાંથી મુસાફરોને વાલક પાટિયા પાસે ઉતારી દેવાયા હતા. જેના કારણે હજારો મુસાફરો વાલક પાટિયા પર રઝળી પડ્યા હતા. વાલક પાટિયા પાસે ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. આજે 200થી વધુ બસ વાલક પાટિયા રોડ પર ઉભી રાખી દેવાઈ હતી. કેટલાક મુસાફરોને તેમના સંબંધીઓ શહેરમાંથી રિસિવ કરવા આવ્યા હતા.