ઘણા ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આશરે એક વર્ષ જેટલા સમયગાળાથી યોજાઈ નથી. જ્યા વહીવટદાર તરીકે તલાટીઓને મુક્યા છે જેને અન્ય ગામોનો વધારાનો ચાર્જ હોવાથી ગ્રામજનો વહીવટી કામોમા મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ચૂંટણી યોજવા અંગે CMને રજૂઆત કરી છે.
ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા ઉઠી માગ
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે CMને કરી રજૂઆત
તલાટીની ઘટ હોવાથી પડી રહી છે મુશ્કેલી"
ગુજરાત રાજ્યમાં બાકી ગ્રામ પંચાયતની ચૂંટણી તાત્કાલીક યોજવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત રજુઆત કરી છે. લાંબા સમયથી વહીવટદારો ન હોવાથી ગ્રામ પંચાયતનો વિકાસ અટકી રહ્યો છે. જેને પગલે આ દિશામાં તાત્કાલિક વિચારણા કરી ચૂંટણી જાહેર કરવામા આવે તેવી ધારાસભ્યએ માંગ ઉઠાવી છે.
તલાટીઓને 7 થી 10 ગામોનો ચાર્જ દેવાયો હોવાથી કામનો બોજો વધી રહ્યો છે
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલએ CMને પત્ર લખી જણાવ્યું કે ગામોના વહીવટની જવાબદારી સંભાળતા તલાટીઓને 8 થી 10 ગામોનો ચાર્જ દેવાયો હોવાથી કામનો બોજો વધી રહ્યો છે. પરીણામે તે કોઈપણ કામમાં પૂરતો ન્યાય આપી શકતા નથી. બીજી તરફ વહીવટદારોની ઘટના પરિણામ વહીવટમાં મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે તો રાજ્યમાં તલાટીઓની ઘટનો મુદ્દો પણ રજુઆતમાં ટાંકવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું કે તલાટીઓની પણ ઘટ હોવાથી ગામના જરૂરી કામો વેગવંતા બની શકતા નથી અને કામના માર્ગમાં અનેક અડચણો આવી રહી છે. જેથી તાત્કાલીક ચૂંટણી યોજવી આવશક્ય બની છે. શા માટે ચૂંટણી યોજાઈ નથી તેવા અનેક મુદાઓનો ઉલ્લેખ કરાયો છે.
ગ્રામ પંચાયતમાં વહીવટમાં પડી રહી છે મુશ્કેલી
ઉલ્લેખનીય 3 હજારથી પણ વધુ ગામોમાં લાંબા સમયથી ચૂંટણી યોજાઈ નથી. એપ્રિલ માસમાં ચૂંટણી યોજાવાની હતી પરંતુ અનામતની માંગ ઉઠતા મુદ્દો ઘોંચમા પડી ગયો છે જે ગૂંચ હજુ ઉકેલાઇ ન હોવાથી ચૂંટણી અટકી પડી છે. આપને જણાવી દઈએ કે 19 એપ્રિલ 2022 ના રોજ રાજ્ય ચૂંટણી પંચે પરિપત્ર જાહેર કરી જણાવ્યું હતું કે એપ્રિલ અને જૂનમા જે ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થઈ હતી ત્યાં વહીવટદાર નિમવાની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10 ટકા અનામત રદ કરવાનો આદેશ કરાયો હતો. જેને પગલે ચૂંટણી પંચે પણ કલેક્ટને પત્ર લખ્યો હતો અને 10 ઓબીસી બેઠકને સમાન્યમાં પરિવર્તિત કરવાનું જણાવ્યું હતું.